આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ કેનેડામાં રશિયન રાજદૂત પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, રશિયાએ ભારત સાથે મળીને નિજ્જરને માર્યો હતો. તેણે કેનેડામાં રશિયન રાજદૂત વ્લાદિમીર સ્ટેપનોવ અને યુએસમાં ભારતીય રાજદૂત વિનય ક્વાત્રાની જાહેર પ્રવૃત્તિઓને શોધી કાઢવા માટે 25,000 (રૂૂ.21 લાખ)ના ઈનામની જાહેરાત કરી છે.
એસએફજેએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું.
એસએફજેના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનું સમર્થન ખાલિસ્તાન તરફી શીખો માટે ખતરો છે. તેણે આરોપ લગાવ્યો કે સ્ટેપનોવ અને ક્વાત્રા યુએસ અને કેનેડામાં ખાલિસ્તાન તરફી શીખો વિરુદ્ધ જાસૂસી નેટવર્ક ચલાવતા હતા.
એસએફજેએ દાવો કર્યો હતો કે કેનેડામાં રશિયન એમ્બેસીએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરના ટેલિગ્રામ એકાઉન્ટને હેક કરીને ભારતીય ગુપ્તચર એજન્સીઓને માહિતી આપી હતી. આ માહિતીના આધારે નિજ્જરની 18 જૂન 2023ના રોજ હત્યા કરવામાં આવી હતી. એસએફજેએ એમ પણ કહ્યું હતું કે રશિયન એજન્સીઓએ પન્નુનું ટેલિગ્રામ એકાઉન્ટ પણ હેક કર્યું હતું અને તેની પ્રવૃત્તિઓ વિશેની માહિતી ભારતના રો અધિકારીઓને આપી હતી, જેના કારણે તેની વિરુદ્ધ હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
