પુત્રીને બચાવી લઇ સારવારમાં ખસેડાઇ, કારણ અકબંધ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ નજીક રાધેશ્યામ સોસાયટીમાં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો. જો કે, તેના પિતા જોઇ જતા પુત્રીનો જીવ બચાવી લીધો હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ આપઘાતનો પ્રયાસ શા માટે કર્યો એ જાણવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, ઓમનગર સર્કલ નજીક 40 ફૂટ રોડ પર આવેલી રાધેશ્યામ સોસાયટી શેરી નં.1માં રહેતી ખ્યાતી વિપુલભાઇ ઉનાગર (ઉ.18)નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે છતના હુંકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. જો કે, તેના પિતા ઘરે આવતા પુત્રીને લટકતી જોઇ તાત્કાલીક તેનો જીવ બચાવી લીધો હતો. પુત્રીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ખ્યાતી ત્રણ બહેનમાં મોટી અને તેના પિતા હિરા ઘસવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભર્યુ તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
