કેન્દ્ર સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં સેવા આપી રહ્યા છે, જેમાંથી 16ને રશિયા દ્વારા ગુમ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે આ 18 ભારતીયોમાંથી 9 ઉત્તર પ્રદેશના, 2 પંજાબ અને હરિયાણાના છે, જ્યારે એક-એક ચંડીગઢ, મહારાષ્ટ્ર, કેરળ, બિહાર અને જમ્મુ અને કાશ્મીરનો છે.
બીજા પ્રશ્નના જવાબમાં કીર્તિ વર્ધને કહ્યું હતું કે રશિયા-યુક્રેન સંઘર્ષમાં અત્યાર સુધીમાં 12 ભારતીયોના મોતની પુષ્ટી થઈ છે. ભારતીય દૂતાવાસો અને મિશન વિદેશમાં ફસાયેલા નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે.
જ્યારે પણ સહાયની વિનંતી મળે છે ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે રશિયન અધિકારીઓને બાકીના ભારતીયોની સ્થિતિ અંગે અપડેટ આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે. તેમજ તેમને શક્ય તેટલી વહેલી તકે સેનામાંથી મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રશિયન સેનામાં સેવા આપી ચૂકેલા 97 ભારતીયોને તેમના સ્વદેશ પરત મોકલવામાં મદદ કરવામાં આવી છે. આમાં ઉત્તર પ્રદેશના 32, પંજાબના 14, હરિયાણાના 12, મહારાષ્ટ્રના 8, દિલ્હીના 6, બિહારના 5, જમ્મુ-કાશ્મીરના 4 અને અન્ય રાજ્યોના 16 નાગરિકોનો સમાવેશ થાય છે.