વૃધ્ધો અને બાળકોને ભારે મુશ્કેલી, યોગ્ય પગલાં લેવાની માંગ
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદી અને ગટરના પાણીના ભરાવાથી અનેક સોસાયટીઓની સ્થિતિ કફોડી બની છે. પટેલ એક અને બે, જીવન લક્ષ્મી, રાધેકૃષ્ણ, માનવ મંદિર, ઇલાઇટ હોમ, સાઇ રેસીડેન્ટી અને શીવ શિખર સોસાયટીઓમાં પાણી ભરાયા છે.મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 માનવમંદિર પાછળના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે 200થી વધુ મહિલાઓએ રસ્તા પર આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરેન્દ્રનગરના આજુબાજુના પાંચ ગામને જોડતો રસ્તો પણ તળાવ જેવો બની ગયો છે.
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બાળકોને શાળાએ જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે. બીમાર દર્દીઓ માટે 108 એમ્બ્યુલન્સની અવરજવર પણ મુશ્કેલ બની છે. અનેક બાળકો અને વૃદ્ધો પાણીમાં પડવાથી ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક રહીશો અને મહિલાઓએ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે લાગતા વળગતા તંત્ર પાસે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.
