કુંભઘાટના જોખમી વળાંક પર ભયાનક અકસ્માત
વલસાડ કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને અડફેટે લેતા સર્જાયેલી આ ભીષણ ટક્કરમાં આંબા જંગલ વિસ્તારના એક જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અકસ્માતમાં કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મળતી માહિતી મુજબ, ઇકો કારમાં સવાર પરિવાર કપરાડા તરફ જઈ રહ્યો હતો ત્યારે કુંભઘાટના જોખમી વળાંક પર સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માત બાદ તુરંત જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ શ્વાસ થંભી ગયા હતા. અન્ય 2 ગંભીર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં કુલ 5 પુરુષો, 1 મહિલા અને 1 યુવતીનો સમાવેશ થાય છે.
