સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ અચાનક તૂટી પડતાં દોડધામ મચી હતી. મોતના કૂવાના આગળના ભાગમાં બનાવવામાં આવેલું સ્ટેન્ડ અચાનક તૂટી પડતાં મેળો માણવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે, સદનશીબે મોટી દૂર્ઘટના અટકી હતી.
સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી પડતાં ત્યાંથી પસાર થઈ રહેલા ચારથી પાંચ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આસપાસના લોકોમાં થોડીવાર માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સ્ટેજનો ભાગ તૂટી પડ્યા બાદ મેળો માણવા આવેલા લોકોએ તાત્કાલિક લોખંડની એંગલને ટેકો આપી પકડી રાખી હતી.
જેના કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાથી થોડા સમય માટે મેળાના સ્થળે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ વહિવટી તંત્રએ જોખમી રાઇડ્સ બંધ કરાવવાનો નિર્ણય લીધો છે અને રાઇડ્સનું ચેકિંગ હાથ ધર્યુ છે.
