IAS સિલેકશન ગ્રેડમાં નિયુક્તિ માટે 169 અરજી, 14 નામંજૂર

આઇએએસ સિલેક્શન ગ્રેડ સંવર્ગમાં નિયુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ મગાવવામાં આવે છે, તેમાં અધિકારીઓની 168 જેટલી અરજી મળી છે. જેમાં બે નિયત સમય મર્યાદા…

આઇએએસ સિલેક્શન ગ્રેડ સંવર્ગમાં નિયુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા અરજીઓ મગાવવામાં આવે છે, તેમાં અધિકારીઓની 168 જેટલી અરજી મળી છે. જેમાં બે નિયત સમય મર્યાદા પછી મળી હતી. નિયત સમયમાં મળેલી અરજીમાંથી 14 વિવિધ કારણસર નામંજૂર કરવામાં આવી છે. સિલેકશન ગ્રેડ માટે સંભવત: મે-2025માં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પસંદગીથી આઇએએસ સંવર્ગમાં નિયુક્તિ માટે અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં 6 જેટલા અધિકારીઓએ કરેલી અરજીમાં 1-1-2024ની સ્થિતિએ વર્ગ-1ના અધિકારી તરીકેનો 8 વર્ષનો અનુભવ ધરાવતા નહીં હોવાનું જણાયું હતું. જે ભારતીય સનદી સેવામાં સિલેક્શનથી નિમણૂકની જોગવાઇ મુજબ અનુભવની પૂરતી લાયકાત નહીં હોવાથી તેમની ઉમેદવારી નામંજૂર કરાઇ હતી. આ અધિકારીઓ રાજ્યમાં ગાંધીનગરથી લઇ વિવિધ સ્થળે અલગ અલગ હોદ્દા ઉપર ફરજ બજાવી રહ્યા છે.

તે ઉપરાંત વર્ગ-1ના કુલ 7 અધિકારીની અરજી પણ એ માટે નામંજૂર કરાઇ હતી કે તેઓ બોર્ડ-નિગમમાં નિમણૂક પામીને ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારીઓ રાજ્ય સેવાના અધિકારી જેવું રાજ્યપત્રિત સ્ટેટસ ધરાવતા ન હતા કે નાયબ કલેકટર સમકક્ષ જગ્યા ઉપર પણ 8 વર્ષના અનુભવની જોગવાઇ પરિપૂર્ણ કરતા ન હોવાથી તેમની ઉમેદવારી ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી. આ અધિકારીઓ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, જીએમડીસી, કૃષિ યુનિવર્સિટી વિગેરેમાં ફરજ બજાવી રહ્યા છે.

એક અધિકારી દ્વારા નિયત સમય મર્યાદા પછી અરજી કરાઇ હતી. તો એક અધિકારી દ્વારા નિયત સમય મર્યાદા પહેલા અરજી કરાઇ હતી પરંતુ વિભાગને તે પછી મળી હતી અને તેની સાથે જરૂૂરી આધાર-પુરાવા નહીં હોવાનું કારણ આપીને પણ માન્ય રખાઇ ન હતી. અન્ય એક અધિકારી પણ નિયમ મુજબ લાયકાત પૂર્ણ કરતા ન હોવાથી નામંજૂર કરવામાં આવી હતી. સામાન્ય વહીવટ વિભાગના 2024ના ઠરાવ મુજબ ગ્રૂપ ડિસ્કશનઓને સિચ્યુએશન એનાલિસિસ મુજબની ટુ-ટીયર પરીક્ષાનું આયોજન મે મહિનામાં યોજવા માટે તૈયારી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *