તમે ટેક પાવર, અમે ટેલેન્ટ પાવર : સાથે મળી કામ કરવા મોદીનું જાપાનને આહવાન

દુનિયા આજે ભારત તરફ માત્ર જોઈ રહી નથી, વિશ્ર્વાસ મુકે છે : ભારતમાં મૂડીનો ગુણાકાર થાય છે : જાપાની ઉદ્યોગપતિઓને રોકણ કરવા આમંત્રણ જાપાનની બે…

દુનિયા આજે ભારત તરફ માત્ર જોઈ રહી નથી, વિશ્ર્વાસ મુકે છે : ભારતમાં મૂડીનો ગુણાકાર થાય છે : જાપાની ઉદ્યોગપતિઓને રોકણ કરવા આમંત્રણ

જાપાનની બે દિવસીય મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનને ભાગીદારીમાં કામ કરવા હાકલ કરી છે અને કહ્યું છે કે જ્યારે જાપાન એક ટેક પાવર હાઉસ છે, ત્યારે ભારત એક ટેલેન્ટ પાવર હાઉસ છે. તેમણે કહ્યું કે બંને દેશો સાથે મળીને ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. આ સાથે, પ્રધાનમંત્રી મોદીએ જાપાની ઉત્પાદકોને ભારત આવવા આમંત્રણ આપ્યું અને ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સમગ્ર વિશ્વ માટે ઉત્પાદન કરવા હાકલ કરી. તેમણે કહ્યું, ‘મેક ઇન ઇન્ડિયા ફોર ધ સમસ્ત વિશ્વ.’ તેમણે કહ્યું કે આજે ફક્ત ટેકનોલોજી અને પ્રતિભા જ વિશ્વનું નેતૃત્વ કરી શકે છે. તેમણે કહ્યું કે વિશ્ર્વ આજે ભારત તરફ માત્ર નજર નથી રાખી રહ્યું પણ આધાર રાખી રહ્યું છે.

ટોક્યોમાં ભારત-જાપાન આર્થિક મંચને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જાપાનની ટેકનોલોજી અને ભારતની પ્રતિભા મળીને આ સદીની ટેકનોલોજી ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે. આ સાથે, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત રોકાણ માટે સૌથી આશાસ્પદ સ્થળ છે. 80 ટકા કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરવા માંગે છે અને 75 ટકા કંપનીઓ પહેલાથી જ નફાકારક છે. આનો અર્થ એ છે કે ભારતમાં મૂડી માત્ર વધતી જ નથી પણ ગુણાકાર પણ થાય છે.

તેમણે કહ્યું, ‘જાપાન હંમેશા ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. મેટ્રોથી ઉત્પાદન સુધી, સેમિક્ધડક્ટરથી સ્ટાર્ટઅપ્સ સુધી, અમારી ભાગીદારી પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. મોદીએ કહ્યું કે જાપાની કંપનીઓએ ભારતમાં 40 બિલિયનથી વધુનું રોકાણ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું, ભારતે AI, સેમિક્ધડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, બાયોટેક અને અવકાશના ક્ષેત્રમાં બોલ્ડ અને મહત્વાકાંક્ષી પહેલ કરી છે.

વડાપ્રધાન મોદીએ અગાઉ કહ્યું હતું કે, આજે ભારતમાં રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, પારદર્શિતા અને નીતિઓમાં આગાહી કરવાની ક્ષમતા છે. આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે. અને ખૂબ જ ટૂંક સમયમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સુધારા, કામગીરી અને પરિવર્તન એ આપણી વિચારસરણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *