આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે. તેમના પર કોઈએ પ્રવાહી ફેંક્યું છે. સદ્નસીબે તે આ હુમલામાંથી બચી ગયાં હતાં. આ દરમિયાન અરવિંદ કેજરીવાલની સાથે હાજર લોકોએ આરોપીને પકડી લીધો અને પોલીસને હવાલે કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપના ઘણા ટોચના નેતાઓ પર આરોપ લગાવ્યા છે.
આમ આદમી પાર્ટીએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે સાંજે દિલ્હીના ગ્રેટર કૈલાશમાં પદયાત્રા પર ગયા હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા. આ પદયાત્રા દરમિયાન પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ લોકો સાથે હાથ મિલાવતા આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક તેમને મળવાના બહાને આવ્યો હતો અને અચાનક પૂર્વ સીએમ પર પ્રવાહી ફેંકી દીધું હતું. ત્યારબાદ કેજરીવાલની સાથે હાજર લોકોએ આરોપીને પકડી લીધો અને પોલીસને હવાલે કર્યો.