આજે અગરતલાના પોલીસ મુખ્યાલયમાં ત્રિપુરાના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) અનુરાગ ધનખર મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે વરિષ્ઠ આઈપીએસ અધિકારીએ કથિત રીતે આત્મહત્યા કરી હતી; જોકે, તેમના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ મળી નથી. આજે તેમના મૃતદેહને અગરતલાના જીબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. રાજ્યના ટોચના પોલીસ અધિકારીના અચાનક મૃત્યુથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ડીજીપી અનુરાગ ધનખડ પોલીસ હેડક્વાર્ટરમાં આવેલા તેમના ઓફિસના જ એક રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર અર્થે અગરતલાની ગોવિંદ વલ્લભ પંત (GBP) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જીબી પંત હોસ્પિટલના સિનિયર ડોક્ટર પ્રદીપ ભૌમિકે પત્રકારોને જણાવ્યું હતું કે, “બપોરે આશરે 12:00 વાગ્યે જ્યારે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા, ત્યારે અમારા ડોક્ટરોએ તાત્કાલિક તેમની તપાસ કરી હતી. તે સમયે તેમના પલ્સ (નબ્ઝ), બ્લડ પ્રેશર કે અન્ય કોઈ પણ જીવંત પેરામીટરના સંકેતો મળી રહ્યા નહોતા. તેમ છતાં, ઈમરજન્સી યુનિટમાં કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન (CPR) ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અમારા નિષ્ણાત તબીબોની ટીમે સતત 48 મિનિટ સુધી તેમને બચાવવા માટે CPR આપ્યું હતું, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે બપોરે 12:48 વાગ્યે સત્તાવાર રીતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.”
ત્રિપુરા ડીજીપીની કથિત આત્મહત્યાના સમાચાર બાદ મુખ્યમંત્રી માણિક સાહાએ તેમની ઓફિસની મુલાકાત લીધી. હાલમાં આ બાબત અંગે સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. સોમવારે સવારે ત્રિપુરા ડીજીપીના કાર્યાલયમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મુખ્યમંત્રી માણિક સાહાએ સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.. જોકે, તેમણે બહાર રાહ જોઈ રહેલા પત્રકારો સાથે વાત કરી ન હતી અને તેમની મુલાકાત પછી તરત જ કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું ન હતું.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઘણા વરિષ્ઠ પોલીસ અને સરકારી અધિકારીઓ ડીજીપીના કાર્યાલયમાં હાજર હતા. પોલીસે હજુ સુધી ઘટનાના પ્રકાર અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.
