રાત્રે મુખ્યમંત્રીના ઘરે બેઠકમાં મંત્રીના રાજીનામા લેવાશે, નવાને જાણ કરાશે

બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રીઓના નામ…

બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા મંત્રીઓનું લિસ્ટ રાજ્યપાલને સોંપશે

ગુજરાતમાં મંત્રી મંડળના વિસ્તરણને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે નવા મંત્રીઓના નામ લગભગ નક્કી કરી દેવાયા છે. રાજ્યભરમાં અત્યારે મંત્રી મંડળને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે રાત્રે આઠ વાગ્યે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ હાજર રહેશે. જેમાં હાલના મંત્રીઓના રાજીનામા લેવામાં આવશે અને નવા બનનાર મંત્રીઓને જાણ કરવામાં આવશે.

મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે મહાત્મા ગાંધી મંદિરમાં શપથવિધીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે મંત્રીમંડળમાં કોને સ્થાન આપવું ? તેને લઈને ભાજપની પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મુખ્યમંત્રી આજે મુંબઈના પ્રવાસે હતાં અને બપોર બાદ તેઓ ગાંધીનગર આવી પહોંચ્યા હતાં. ગાંધીનગર આવ્યા બાદ સતત બેઠકનો દૌર શરૂ રહ્યો હતો.

આ પછી રાત્રે મળનારી બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે જેમાં રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની હાજરીમાં બેઠક મળશે. આ ઉપરાંત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ અને રત્નાકર તથા મુખ્યમંત્રી હાજર રહેશે. જેઓ વર્તમાન મંત્રી મંડળના પડતા મુકાનાર મંત્રીઓના રાજીનામા આ બેઠકમાં જ લઈ લેશે અને જે નવા મંત્રીઓ બનવાના છે તેમને જાણ કરશે. આ બેઠક બાદ રાત્રે મુખ્યમંત્રી નવા મંત્રી મંડળના નામ સાથે રાજ્યપાલને મળવા જશે. આ દરમિયાન એવી પણ માહિતી મળી રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચી જશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. આ તમામ પ્રક્રિયાઓ ભાજપ દ્વારા ગુપ્ત રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *