મહારાષ્ટ્રના બારામતીમાં આજે મોટી દુર્ઘટના બની છે. મળેલી માહિતી પ્રમાણે બારામતીમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થઇ ગયું છે અને આ પ્લેનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સવાર હતા. પ્લેન ક્રેશમાં આ પહેલા પણ દેશના ઘણા મહાનુભાવોનું નિધન થયેલા છે.
વૈજ્ઞાનિક હોમી ભાભા તેમજ આઝાદી વખતના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ પણ પ્લેન દુર્ઘટનામાં થયા હતાં. ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું મૃત્યુ પણ પ્લેન દુર્ઘટનામાં થયું હતું.
વિજય રુપાણી
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું . તેમાં 242 લોકો સવાર હતા, જેમાં 241 લોકોના મોત થયા હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂૂપાણી પણ વિમાનમાં હતા.તેમનું પણ આ દૂર્ઘટનામાં નિધન થયું હતું.
સીડીએસ બિપિન રાવત
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત પણ આવી જ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. 8 ડિસેમ્બર, 2021 ના રોજ, સુલુરથી વેલિંગ્ટન જતી વખતે, સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં ક્રેશ થયું હતું. તેમની પત્ની અને 11 અન્ય લોકો પણ તેમાં સવાર હતા.
હોમી જહાંગીર ભાભા
દેશના મહાન વૈજ્ઞાનિક હોમી મહાંગીર ભાભાનું પણ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 24 જાન્યુઆરી, 1966 ના રોજ, એર ઇન્ડિયા ફ્લાઇટ 101 ક્રેશ થયું હતું.
સુભાષચંદ્ર બોઝ
આઝાદી ચળવળ વખતે મહત્વનું યોગદાન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ 18 ઓગસ્ટ 1945નાં રોજ પ્લેન દુર્ઘટનામાં થયું હોવાનું કહેવાય છે. પરંતુ ત્યારબાદ અનેક વખત ઘણી થીયરીઓ વહેતી થઈ છે. આમ છતાં મોટા ભાગનાં લોકો વિમાન દુર્ઘટનાને જ જવાબદાર ગણે છે.
વાય.એસ. રાજશેખર રેડ્ડી
આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડીનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બર, 2009 ના રોજ, તેમનું હેલિકોપ્ટર ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું.
દોરજી ખાંડુ
30 એપ્રિલ, 2011 ના રોજ, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
તેમનું પવન હંસ હેલિકોપ્ટર જમીન નિયંત્રણ સાથે સંપર્ક ગુમાવ્યા બાદ ક્રેશ થયું હતું. વિમાનનો કાટમાળ પાંચ દિવસ પછી તવાંગમાં મળી આવ્યો હતો.
ઓપી જિંદાલ અને સુરેન્દ્ર સિંહ
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને હરિયાણાના ઉર્જા મંત્રી ઓપી જિંદાલ અને કૃષિ મંત્રી સુરેન્દ્ર સિંહના પણ 2005માં હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયા હતા. દિલ્હીથી ચંદીગઢ જતું તેમનું કિંગ કોબ્રા હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ક્રેશ થયું હતું.
માધવરાવ સિંધિયા
ભૂતપૂર્વ રેલ્વે મંત્રી માધવરાવ સિંધિયાનું 30 સપ્ટેમ્બર, 2001ના રોજ કાનપુરમાં એક રાજકીય રેલીમાં જતા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
સંજય ગાંધી
ઇન્દિરા ગાંધીના પુત્ર અને કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતા સંજય ગાંધીનું પણ હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. આ અકસ્માત 23 જૂન, 1980ના રોજ થયો હતો.
