સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાન્નિધ્યમાં આગામી 14 થી 17 સપ્ટેમ્બર, 2026 દરમિયાન તરણેતરનો ઐતિહાસિક લોકમેળો યોજાશે. આ મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાપન માટે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટર જી.એચ. સોલંકીએ સંબંધિત વિભાગના અધિકારીઓને મેળામાં આવતા સહેલાણીઓની સુરક્ષા, પ્રાથમિક સુવિધાઓ, નિયમિત સફાઈ અને સલામતી સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. તેમણે એક સફળ મેળાના આયોજન પર ભાર મૂક્યો હતો.
મેળાને લગતી પ્રાથમિક વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રસ્તાઓની મરામત, ડાયવર્ઝન, નવા રસ્તાઓનું નિર્માણ, સ્ટેજનું રિનોવેશન અને લાઇટિંગની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સ્વાગત પ્રોટોકોલ, તળાવ અને મેળાના મેદાનની સફાઈ, પ્લોટની હરાજી, પાર્કિંગ સુવિધા, સાઇનબોર્ડ અને એસ.ટી. બસની પૂરતી સુવિધા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
તરણેતરનો મેળો તેની લોકસંસ્કૃતિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મેળામાં ગ્રામીણ રમતગમતની હરીફાઈઓ, ભવાઈ, નાટક, પપેટ-શો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો અને પશુ હરીફાઈના આયોજન અંગે કલેક્ટરે સૂચનાઓ આપી હતી. લોકોના આરોગ્ય અને સુરક્ષાને પ્રાધાન્ય આપતાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સઘન સફાઈ, ખાણીપીણીની વસ્તુઓની ચકાસણી, આરોગ્ય સુવિધાઓ, ફાયર ફાઇટર, ક્રાઇસિસ મેનેજમેન્ટ અને રાઇડ્સની ચકાસણી અંગે પણ સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત, ધ્વજારોહણ અને આરતી, પીવાના પાણીની વ્યવસ્થા અને આમંત્રણ પત્રિકા સહિતની બાબતો પણ નક્કી કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ગ્રામીણ ઓલમ્પિક મેદાન, પશુ હરીફાઈ મેદાન, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ અને હેલિપેડ સહિતની જગ્યાઓની રૂૂબરૂૂ મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર જ સંબંધિત વિભાગોને મેળા પૂર્વે તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા જરૂૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાવેશ દવે અને ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
