રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા સુરેન્દ્રનગરના રૂ. 1500 કરોડના બહુચર્ચિત જમીન કૌભાંડ પ્રકરણમાં ગુજરાત સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જયારે હવે લાંચમા ભાગ બટાઇ લેનાર અન્ય અધિકારીઓ તરફ પણ કાનુની ગાળીયો કસાઇ રહયાનુ જાણવા મળે છે.
સરકારી નિયમો અનુસાર, જ્યારે પણ કોઈ અધિકારી 48 કલાકથી વધુ સમય માટે પોલીસ કે જ્યુડિશિયલ કસ્ટડીમાં રહે છે, ત્યારે તેમને આપમેળે સસ્પેન્ડ ગણવામાં આવે છે, જે નિયમ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. આ અગાઉ 2 જાન્યુઆરીની વહેલી સવારે Enforcement Directorate (ED) દ્વારા ડો. રાજેન્દ્ર પટેલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેમને 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં તપાસ દરમિયાન લાંચની રકમ અને તેના ભાગલા અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા અને મયૂરસિંહ ગોહિલે ઈડી સમક્ષ કરેલા ખુલાસા મુજબ, આખું ભ્રષ્ટાચાર રેકેટ એક સિસ્ટમેટિક પદ્ધતિથી ચાલતું હતું. જમીન એન.એ. (NA) કરવા માટે લેવાતી લાંચની કુલ રકમમાંથી સીધો 50% હિસ્સો કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને મળતો હતો, જ્યારે એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25% હિસ્સો આપવામાં આવતો હતો. બાકીની રકમમાંથી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી 10%, મામલતદાર મયૂર દવે 10% અને ક્લાર્ક મયૂરસિંહ ગોહિલ 5% હિસ્સો રાખતા હતા. કલેક્ટરના પીએ (PA) જયરાજસિંહ ઝાલાએ પણ કબૂલાત કરી છે કે તે લાંચનો તમામ હિસાબ રાખતો હતો અને કલેક્ટર સુધી તેમનો હિસ્સો પહોંચાડવાની કામગીરી કરતો હતો.
ઈડીની તપાસમાં માત્ર નિવેદનો જ નહીં પરંતુ નક્કર પુરાવા પણ હાથ લાગ્યા છે. 23 ડિસેમ્બરના રોજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડા દરમિયાન બેડમાં છુપાવેલી રૂ. 67.50 લાખની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલમાંથી મળેલ વોટ્સએપ ચેટ , પીડીએફ ફાઈલો અને ફોટાઓએ આ લાંચના નેટવર્કનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ક્લાર્ક મયૂરસિંહ ગોહિલે પણ સ્વીકાર્યું છે કે જમીનના હેતુ ફેર માટેનો અંતિમ નિર્ણય કલેક્ટર દ્વારા જ લેવામાં આવતો હતો અને આખી પ્રક્રિયામાં મોટાપાયે નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી.
તપાસ દરમિયાન કલેક્ટરની આર્થિક બાબતોમાં પણ અનેક વિસંગતતાઓ સામે આવી છે. એક તરફ તેમણે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ’શુકન પ્લેટિનમ’માં ફ્લેટ નં. ઉં 102 ખરીદ્યો હતો, જેની ભાડાની આવક તેમના માતાના ખાતામાં જમા થતી હતી, તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે તેઓ સુરેન્દ્રનગરની ’સ્કૂલ ઓફ એક્સલન્સ’માં અભ્યાસ કરતા પોતાના બાળકોની ફી પણ ચૂકવતા ન હોવાનું બહાર આવ્યું છે.
વધુમા ઈન્કમટેક્સ રિટર્નમાં ખેતીની આવક ન દર્શાવવા છતાં સરકારી પોર્ટલ પર 2016થી જમીન હોવાનું બતાવવામાં આવ્યું હતું. હાલમા ડો. રાજેન્દ્ર પટેલ ઈડીની કસ્ટડીમાં છે અને આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. હવે ભ્રષ્ટાચારમા ટકાવારી લેનાર એડિશનલ કલેકટર , મામલતદાર સહિતના અધિકારીઓ સામે પગલા તોળાઇ રહયાનુ જાણવા મળે છે.
