સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ભૂતપૂર્વ મંત્રી આઝમ ખાન 23 મહિના પછી મુક્ત થયા છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ તેઓ મંગળવારે જેલમાંથી બહાર આવ્યા હતા. આઝમના મોટા પુત્ર અદીબ તેમના સમર્થકો સાથે સીતાપુર જેલ પહોંચ્યા હતા. પ્રશ્ન એ છે કે તેઓ કેટલો સમય જેલની બહાર રહેશે?
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા પછી, આઝમ ખાન માટે ગણતરી શરૂૂ થઈ ગઈ, અને તેમના પર કાનૂની દબાણ વધુ કડક બન્યું. આઝમ ખાનની પહેલી વાર ફેબ્રુઆરી 2020 માં ધરપકડ કરવામાં આવી હતી અને સુરક્ષા કારણોસર તેમને સીતાપુર જેલમાં ખસેડવામાં આવ્યા હતા.
27 મહિના જેલમાં વિતાવ્યા બાદ આઝમખાન મે 2022 માં જામીન પર મુક્ત થયા હતા.2022 માં જેલમાંથી મુક્ત થયા પછી, આઝમ ખાન લગભગ દોઢ વર્ષ જેલની બહાર રહ્યા. આઝમ ખાનને તેમના પુત્ર અબ્દુલ્લા આઝમના નકલી જન્મ પ્રમાણપત્ર કેસના સંબંધમાં 18 ઓક્ટોબર, 2023 ના રોજ જેલમાં પાછા ફરવું પડ્યું. હવે, 23 મહિના પછી, તે જામીન પર પાછો ફર્યો છે. તેમની સામે યોગી સરકારે 104 કેસ કર્યા છે. એમાંથી 12 કેસનો ચુકાદો આવ્યો છે. કેટલાકમાં તે દોષિત ઠર્યા છે તો અમુકમાં નિર્દોષ જાહેર થયા છે. 80 કેસો હજુ પેન્ડીંગ છે.
