ગુજરાત રાજ્યના શાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આજે શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં ફી નિયમન કાયદા (ઋછઈ) અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીના મુદ્દે સરકારને હાઈકોર્ટમાં પડકારવાની સહમતી સધાઈ છે. શાળા સંચાલકોએ FRC સ્લેબ વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કર્યો છે. સંચાલકોએ એક સૂરે માંગ કરી છે કે જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો અપાય છે જે મુજબ FRCમાં પણ વધારો કરવામાં આવે, છેલ્લા ઘણા વર્ષથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત સરકાર સમક્ષ પરામર્શ અને રજૂઆતો કરી રહ્યું છે પરંતુ કોઈ નિર્ણય લેવામાં ન આવતા હવે શાળા સંચાલકો આકરા પાણીએ થયા છે.
આ ઉપરાંત બીજી મુખ્ય માગ શાળામાં પટ્ટાવાળા, ક્લાર્કની ભરતીને લઈને પણ ઉઠાવવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ શિક્ષક અથવા આચાર્યને કરવાનો વારો આવ્યો છે. જેથી સંચાલક મંડળ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરાય તે મુદ્દે પણ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.
સંચાલકોએ FRC સમક્ષ નવા સ્લેબની માગ મૂકી છે. કારણ આપતા જણાવ્યું કે ઋછઈના આવ્યા પછી 8 વર્ષ ( 2017થી 2025) થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જેમાં પ્રાયમરી 22,000 રૂપિયા, માધ્યમિક 30,000 રૂપિયા, સામાન્ય પ્રવાહ 35,000 રૂપિયા, વિજ્ઞાન પ્રવાહ: 40,000 રૂપિયા જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં 7 ટકાના દરે વાર્ષિક વધારો કરવામાં આવે છે, તે જ રીતે FRC સ્લેબમાં પણ વધારો કરી દેવામાં આવે.
હાલ પ્રાઈમરીમાં 15 હજાર,માધ્યમિકમાં 25 હજાર, સામાન્ય પ્રવાહમાં 25 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 27 હજારનો સ્લેબ છે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં ઉપરોક્ત મુદ્દાઓ સાથે RTEના જે હપ્તા છે તે ચાર હપ્તામાં નિભાવ ગ્રાન્ટની જેમ ચૂકવવામાં આવે તેવી રજૂઆત પણ સરકાર સમક્ષ કરવામાં આવી છે. હાલ તો શાળા સંચાલકોનો મૂડ કાયદાકીય રીતે પણ સરકાર સાથે લડી લેવાનો છે. સરકાર વિનંતીઓને ગ્રાહ્ય રાખે છે કે કેમ તે જોવું રહ્યું!
