મહિલા અનામત – સિમાંકન બિલ મામલે ગૃહમાં તાકાતના પારખા

સરકાર કોઈ પણ ભોગે મહિલા અનામત અને સિમાંકન સહિત ત્રણ બિલો પાસ કરાવવા મક્કમ, વિપક્ષોનો આકરી શરતો સાથે આક્રોશ કેન્દ્રની એનડીએ સરકારે અત્યંત મહત્વના ત્રણ…

સરકાર કોઈ પણ ભોગે મહિલા અનામત અને સિમાંકન સહિત ત્રણ બિલો પાસ કરાવવા મક્કમ, વિપક્ષોનો આકરી શરતો સાથે આક્રોશ

કેન્દ્રની એનડીએ સરકારે અત્યંત મહત્વના ત્રણ વિધેયકો પ્રસ્તુત કરવા અને મંજુર કરાવવા માટે બોલાવેલા સંસદના વિશેષ સત્રમાં આજે પણ વિવિધ ત્રણ બીલો પર વિશદ અને ઉગ્ર ચર્ચાઓ ચાલુ રહી હતી. આજે સંસદ શરૂ થયા પૂર્વે વિપક્ષોએ એક સંયુકત બેઠક યોજીને શાસક એનડીએ સામેની તથા મુખ્યત્વે સીમાંકન સંબંધિત વિધયેકનો વિરોધ કરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. પછીથી શરૂ થયેલા સેશનમાં દરેક વિપક્ષે જોરશોરથી ભાગ લીધો હતો.

મહિલા અનામત મુદ્દે તમામ વિપક્ષો સંમત હતાં. પરંતુ તેમાના દરેક પક્ષે કોઈ કોઈ અલગ પ્રકારની ધશરતો મુકેલી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહ્યું કે સરકારે લોકસભાની હાલની 542 બેઠકોમાં 33 ટકા મહિલા અનામત લાગુ કરવાની જરૂર છે. હાલના મામલામાં જ પહેલા અનામતનો અમલ કરો, ઈ.સ.2029ની વાત તો દુરની છે. આજે તૃણમુલ કોંગ્રેસના તમામ સાંસદો, અંદાજે વીસ સભ્યો હાજર રહ્યા હતાં. તૃણમુલ પક્ષે કહ્યું કે જો સરકાર સ્ત્રી-પુરૂષ સમાનતાની વાત કરતી હોય તો 33 ટકા મહિલા અનામતને 50 ટકા સુધી લઈ જવાની જરૂર છે.

કોંગ્રેસના ટોચના નેતા ખડગેએ પ્રસ્તુત ત્રણેય બિલનો વિરોધ કરવા માટે વિપક્ષોને હાકલ કરી હતી, પરંતુ તૃણમુલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ 33 ટકા મહિલા અનામતને વધારીને 50 ટકા કરવા માટે આગ્રહ કરીને એ શરતે મંજુરી આપવાનો આગ્રહ જાગહેર કર્યો હતો. પરંતુ સીમાંકન મુદ્દે તમામ વિપક્ષોએ એક સૂરે વિરોધ કરવાંનો નિર્ણય કર્યો હતો. તૃણમુલનો સરકાર સમક્ષ દ્રઢ આગ્રહ તો કે મહિલા અનામતને 50 ટકા સુધી વધારવામાં આવે.

બધી માન્યતાઓ દૂર થઇ, હવે અડધી વસતીને સમર્થન આપો
મતદાન પહેલાં પીએમ મોદીની અપીલ
લોકસભામાં ’નારી શક્તિ વંદન સુધારા અધિનિયમ’ (મહિલા અનામત બિલ) પર મતદાન પહેલાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ સભ્યોને કાયદાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું, “દેશની ’નારી શક્તિ’ (મહિલા શક્તિ) વતી, હું બધા સભ્યોને નમ્ર વિનંતી કરું છું… કૃપા કરીને એવું કંઈ ન કરો જે આપણી મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડે.” લોકસભામાં નારી શક્તિ વંદન સુધારા અધિનિયમ પર મતદાન પહેલાં પીએમ મોદીએ તમામ સાંસદોને અપીલ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર, પીએમ મોદીએ કહ્યું, “જે ગેરસમજો ફેલાવવામાં આવી રહી હતી તેને દૂર કરવા માટે તાર્કિક પ્રતિભાવો પૂરા પાડવામાં આવ્યા છે. દરેક આશંકાને દૂર કરવામાં આવી છે. જે પણ માહિતીનો અભાવ હતો તે હવે દરેક સભ્યને પૂરી પાડવામાં આવી છે. કોઈના મનમાં વિરોધ માટે જે પણ આધાર હતો તે પણ દૂર કરવામાં આવ્યો છે. ચાર દાયકાથી, મહિલા અનામતનો આ મુદ્દો દેશમાં અતિશય રાજકારણનો ભોગ બન્યો છે. હવે સમય આવી ગયો છે કે દેશની અડધી વસ્તીને તેમનો યોગ્ય હક મળે.”

ભાજપ સીતાજીને પણ ભૂલી ગયું છે, હિંમત હોય તો 50 ટકા અનામત આપે : TMC

નારી શક્તિ વંદન સુધારા કાયદા પર બોલતા, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું હતું કે જો સરકારમાં ખરેખર હિંમત હોય તો તેમણે મહિલાઓને 50 ટકા અનામત આપવી જોઈએ. “અમે તેનું સમર્થન કરીશું,” તેમણે કહ્યું. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે ભાજપ સીતાજીને પણ ભૂલી જવા સુધી આગળ વધી ગયું છે. મહિલા અનામત કાયદા પર બોલતા, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ સૂચન કર્યું કે ગૃહના અધ્યક્ષનું પદ મહિલા માટે અનામત રાખવું જોઈએ. તેમણે કહ્યું કે મંત્રીમંડળમાં મહિલાઓ માટે 50 ટકા અનામત ક્વોટા ફરજિયાત હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે લોકસભા બેઠકો માટે પણ ટકાવારી આધારિત ક્વોટા સ્થાપિત થવો જોઈએ.
તેમણે ટિપ્પણી કરી, “અમે દેવી દુર્ગાની પૂજા કરીએ છીએ – તે જ દેવી જેની ભગવાન રામ પણ પૂજા કરતા હતા. હકીકતમાં, જ્યારે તમે ’જય શ્રી રામ’ ના નારા લગાવો છો, ત્યારે અમે ’જય સિયા રામ’ ના નારા લગાવીએ છીએ. આમ કરીને, તમે સીતાજીને સંપૂર્ણપણે ભૂલી ગયા છો.

આંકડાના ચક્રવ્યૂહમાં ફસાયું મહિલા અનામત બિલ
નાના-મોટા સર્વ વિપક્ષની ભરચક હાજરીથી 200થી વધુ મત વિરૂધ્ધમાં પડવાની ધારણા

મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા ત્રણ અત્યંત મહત્ત્વના વિધેયકોને લઈને લોકસભામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે થયેલા પ્રાથમિક મતદાનમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. આજે સાંજે 4 વાગ્યે થનારું અંતિમ મતદાન નક્કી કરશે કે આ ઐતિહાસિક સુધારો પસાર થશે કે કેમ. આ વિધેયકો ગુરુવારે રજૂ કરાયા, ત્યારે થયેલા ડિવિઝનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. સદનમાં હાજર 436 સાંસદોમાંથી 185 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું છે, એટલે કે, લગભગ 42% સાંસદો શરૂૂઆતી તબક્કે જ સરકારની સાથે દેખાયા નથી. બંધારણીય સુધારા માટે સરકારને બે-તૃતિયાંશ (2/3) બહુમતીની જરૂૂર છે, જે હાલના સંજોગોમાં પડકારજનક દેખાઈ રહી છે. લોકસભાની હાલની સ્થિતિ જોતા સરકાર માટે આંકડાકીય લક્ષ્ય આ મુજબ છે. ગૃહની પ્રભાવી સંખ્યા: 540 છે. સરકાર માટે જરૂૂરી સમર્થન (2/3 બહુમતી) મેળવવા ઓછામાં ઓછા 360 સાંસદોએ સરકારની તરફેણમાં મતદાન કરવું જોઇએ. જો વિપક્ષ પોતાની એકતા જાળવી રાખે અને તૃણમૂલ કોંગ્રેસના વધુ 20 સાંસદો આજે મતદાનમાં જોડાય, તો સરકાર માટે 360નો આંકડો મેળવવો મુશ્કેલ બની શકે છે. ગઇકાલે બિલ રજુ કરવા અંગે 251 સાંસદોએ સરકાર તરફી હકારમાં મતદાન કર્યું હતું. આજે વિપક્ષોની ભરચક હાજરીથી વિરોધી મતો 200થી વધુ દેખાય છે. જેથી કુલ 67 જેટલા મત ઘટે છે. ગુરુવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોની હાજરી મર્યાદિત હતી, પરંતુ આજે મમતા બેનર્જીની પાર્ટીના આશરે 20 સાંસદો દિલ્હી પહોંચી મતદાનમાં ભાગ લે તેવી શક્યતા છે. આ વધારાના મતો વિપક્ષના પલડાને ભારે કરશે.

 

આ મહિલાઓ માટેનો કાયદો નહીં, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું : રાહુલ
સંસદના વિશેષ સત્રમાં સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (Delimitation)

બિલ રજૂ કર્યું છે. જેના પર આજે સાંજે મતદાન થવાનું છે. મતદાન પહેલા લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે, આ મહિલાઓ માટેનો કાયદો નથી પરંતુ ચુંટણીનો નકશો બદલવાનું કાવતરું છે. ભાષણની શરૂૂઆતમાં જ જ્યારે સ્પીકરે તેમના હાથમાં લાગેલી ઈજા વિશે પૂછ્યું, ત્યારે તેમણે સ્મિત સાથે જવાબ આપ્યો કે, સર, અંગૂઠામાં ઈજા થઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિદ્રશ્યમાં મહિલાઓ એક ’સેન્ટ્રલ ફોર્સ’ છે. આપણા સૌના જીવનમાં માતા અને બહેન તરીકે મહિલાઓનું સ્થાન અત્યંત મહત્વનું છે. પોતાની બહેન પ્રિયંકા ગાંધીના સંબોધનનો ઉલ્લેખ કરતા રાહુલે સ્વીકાર્યું કે, ગઈકાલે જ્યારે પ્રિયંકા બોલી રહી હતી, ત્યારે તેણે માત્ર 5 જ મિનિટમાં એ કરી બતાવ્યું જે હું 20 વર્ષમાં કરી શક્યો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીના ભાષણ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના ચહેરા પર સ્મિત જોવા મળ્યું, જે આજ સુધી હું પણ કરી શક્યો નથી. સંબોધનની શરૂૂઆતમાં રાહુલ ગાંધીએ હસતા હસતા કહ્યું, જુઓ, મને અને વડાપ્રધાનને કોઈ ’વાઈફ ઈશ્યુ’ નથી!. રાહુલ ગાંધીના આ વિનોદ પર પરિસરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ભાજપના સાથી પક્ષ બીજેડીના સાંસદો કોંગ્રેસની બેઠકમાં હાજર
શિરોમણી અકાલીદળ પણ આડુ ફાટ્યું
મહિલા અનામત બિલ, સિમાંકન બિલ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ કાનુન સંશોધન બિલના મામલે દિલ્હીમાં જબરા રાજકીય દાવપેચ ચાલી રહ્યાં છે. ભાજપ કોઈ પણ ભોગે આ બિલો પાસ કરાવવા માંગે છે અને વિપક્ષો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ભ્જપના બે સાથી પક્ષે બીજુ જનતાદળ (ઓડીસા) અને શિરોમણી અકાલીદળ (પંજાબ) પણ ભાજપનો સાથ છોડતાં દેખાયા હતાં. બન્નેના રાજ્ય સભા અને લોકસભ્માં સાત સાંસદ છે પરંતુ બીજેડીના છ સાંસદો કોંગ્રેસ અધ્યક્ષ ખરગેએ બોલાવેલી બેઠકમાં હાજર રહ્યા હતાં. જ્યારે શિરોમણી અકાલી દળે બિલને ટેકો નહીં આપવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *