કાલે મજૂર સંઘોની દેશવ્યાપી હડતાલ: 25 કરોડ કર્મચારીઓ-ખેડુતો જોડાશે

બેંકો, વીમા, ટપાલ કચેરીઓમાં કામકાજ ઠપ થશે: કોલસા-ખનીજ ખાણકામ કામદારો પણ કામ નહીં કરે: નવા મજુર કાયદાના વિરોધમાં દેખાવો યોજાશે દેશના 25 કરોડથી વધુ કર્મચારીઓ…

બેંકો, વીમા, ટપાલ કચેરીઓમાં કામકાજ ઠપ થશે: કોલસા-ખનીજ ખાણકામ કામદારો પણ કામ નહીં કરે: નવા મજુર કાયદાના વિરોધમાં દેખાવો યોજાશે

દેશના 25 કરોડથી વધુ કર્મચારીઓ બુધવારે દેશવ્યાપી હડતાળ પર જવા માટે તૈયાર છે. બેન્કિંગ, વીમા, ટપાલ સેવાઓથી લઈને કોલસાની ખાણો સુધીના કામદારો પણ આમાં સામેલ થશે. 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા તેને ભારત બંધ નામ આપવામાં આવ્યું છે. યુનિયનોનું કહેવું છે કે સરકારે કામદારોની માંગણીઓને અવગણી અને કોર્પોરેટ હિતોને પ્રોત્સાહન આપ્યું હતું.

ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC) ના અમરજીત કૌરે જણાવ્યું હતું કે, આ હડતાળમાં 25 કરોડથી વધુ કામદારો જોડાશે. ખેડૂતો અને ગ્રામીણ મજૂરો પણ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે.

યુનિયન હડતાળ દરમિયાન બેન્કિંગ સેવાઓ, ટપાલ સેવાઓ, વીમા સેવાઓ પ્રભાવિત થશે. આ ઉપરાંત સરકારી પરિવહન પણ પ્રભાવિત થશે. શેરબજાર ખુલ્લું રહેશે, આ સાથે બુલિયન બજાર પણ ખુલ્લું રહેશે.
ગયા વર્ષે યુનિયનોએ શ્રમ મંત્રી મનસુખ માંડવિયાને 17 માંગણીઓનું ચાર્ટર સુપરત કર્યું હતું. તેમનો આરોપ છે કે સરકારે આ માંગણીઓ પર કોઈ ધ્યાન આપ્યું નથી. વાર્ષિક મજૂર પરિષદ પણ છેલ્લા દાયકાથી યોજાઈ નથી. યુનિયનો આને કામદારો પ્રત્યે સરકારની ઉદાસીનતાનો પુરાવો માને છે.

હિંદ મજદૂર સભાના હરભજન સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, આ હડતાળથી બેન્કિંગ, ટપાલ, કોલસા ખાણકામ, કારખાનાઓ અને રાજ્ય પરિવહન સેવાઓ પર ખરાબ અસર પડશે.

યુનિયનો કહે છે કે સરકારના નવા શ્રમ સંહિતા કામદારોના અધિકારો છીનવી લેવાનું કાવતરું છે. આ ચાર સંહિતા સામૂહિક સોદાબાજીને નબળી પાડે છે અને યુનિયન પ્રવૃત્તિઓને દબાવી દે છે. સંયુક્ત મંચનું કહેવું છે કે સરકાર સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો, આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટિંગ અને જાહેર ક્ષેત્રના સાહસો અને સેવાઓના કામચલાઉ કામદારોની નીતિઓને પ્રોત્સાહન આપી રહી છે. આ નીતિઓ કામદારોના અધિકારોને નબળી પાડે છે અને તેમના ભવિષ્યને અનિશ્ચિત બનાવે છે.

યુનિયનો કહે છે કે ચાર નવા શ્રમ સંહિતા ટ્રેડ યુનિયન આંદોલનને કચડી નાખવા, હડતાળનો અધિકાર છીનવી લેવા અને કામદારોના અવાજને દબાવવા માટે બનાવવામાં આવ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને કૃષિ કામદાર યુનિયનોના સંયુક્ત મંચ દ્વારા હડતાળને સંપૂર્ણ ટેકો આપવામાં આવ્યો છે. તેમણે ગ્રામીણ ભારતમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે.

એવા પણ આરોપો છે કે આ કોડ કામના કલાકોમાં વધારો કરે છે અને નોકરીદાતાઓને શ્રમ કાયદાઓનું ઉલ્લંઘન કરવાથી રક્ષણ આપે છે.

યુનિયનો દાવો કરે છે કે સરકારે વિદેશી અને ભારતીય કોર્પોરેટ્સના હિતોને પ્રાથમિકતા આપી છે, દેશનો કલ્યાણકારી રાજ્યનો દરજ્જો છોડી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *