મનમોહનસિંહનો નશ્ર્વર દેહ પંચમહાભૂતમાં વિલીન

કોંગ્રેસ વડામથકેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મહાનુભાવો સહિત હજારો લોકો જોડાયા વડાપ્રધાન મોદી, ગાંધી પરિવાર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર: ભાવુક દૃશ્યો…

કોંગ્રેસ વડામથકેથી શરૂ થયેલી અંતિમ યાત્રામાં મહાનુભાવો સહિત હજારો લોકો જોડાયા

વડાપ્રધાન મોદી, ગાંધી પરિવાર સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં નિગમબોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર: ભાવુક દૃશ્યો સર્જાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનો નશ્ર્વરદેહ આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પાટનગરના નિગમ બોધ ખાતે પંચમહાભૂતમાં ભળી ગયો ત્યારે ઉપસ્થિત નેતાઓ અને તેમના ચાહકોની આંખો ભીની થઈ ગઈ હતી. મનમોહન સિંહનું લાંબી બીમારી બાદ ગુરૂવારે રાત્રે એઈમ્સમાં નિધન થયું હતું. તે પછી તેમનું પાર્થિવ શરીર તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું હતું. આજે સવારે પાર્થિવ શરીરને કોંગ્રેસના વડામથકે લાવવામાં આવ્યું હતું. જ્યાં જુદા જુદા પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ તેમને પુષ્પાંજલી અર્પી હતીં. સદગત મનમોહનસિંહના પત્ની ગુરૂશરણ અને પુત્રી દામીનીએ પણ કોંગ્રેસવડા મથકે શ્રધ્ધાંજલિ અર્પી હતી. એ પછી તેમની અંતિમ યાત્રા સવારે 9:30 કલાકે ખાસ શણગારેલી સબવાહીની સાથે શરૂ થઈ હતી.

પૂર્વ વડાપ્રધાનનો નશ્ર્વરદેહ તેમના નિવાસસ્થાનેથી લાવવામાં આવે તે પહેલા કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય લોકોએ શ્રધ્ધાંજલી આપી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા હતાં. દરમિયાન મનમોહનસિંહની અંતિમ યાત્રાને ધ્યાનમાં રાખી ટ્રાફિક વ્યવસ્થા સુચારૂૂ રીતે ચાલે તે માટે ટ્રાફિક એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, પમનમોહન સિંહનું નિધન ભારત અને દુનિયા માટે એક ખોટ છે. સૌથી લાંબા સમય સુધી સેવા આપતા નેતાઓમાંના એક તરીકે, તેમણે દેશની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવ્યું, લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને કેનેડા સહિત વિશ્વ સાથે મજબૂત સંબંધો બાંધ્યા.

મનમોહનનું સ્મારક બનાવવા સરકારે ખાતરી આપતા વિવાદ ખતમ
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું સ્મારક બનાવવાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકાર મનમોહન સિંહનું સ્મારક બનાવશે. સૂત્રોનું કહેવું છે કે આગામી 3-4 દિવસમાં સ્મારકનું સ્થળ નક્કી કરવામાં આવશે. મનમોહન સિંહના પરિવારને સ્મારક વિશે જાણકારી આપવામાં આવી છે. સ્મારકને લઈને પરિવાર સરકાર સાથે સહમત થયો છે. જો કે શનિવારે સવારે 11.45 કલાકે નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મોડી રાત્રે, ગૃહ મંત્રાલય દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહના સ્મારક સંબંધી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક સ્થળને લઈને સવારે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગેને જાણ કરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવારે કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે અને ડો. મનમોહન સિંહના પરિવારને જાણ કરી હતી કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. સૂત્રોએ જણાવ્યું કે, સ્મારક અંગેનો નિર્ણય કોંગ્રેસને જણાવવામાં આવ્યો છે પરંતુ ઉમેર્યું હતું કે સ્મારક બનાવવા માટે યોગ્ય સ્થળ શોધવામાં થોડા દિવસો લાગશે કારણ કે, એ માટે ટ્રસ્ટની રચના કરવી પડશે. કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે સિંહના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે જગ્યા ન મળવી એ દેશના પ્રથમ શીખ વડા પ્રધાનનું જાણી જોઈને અપમાન છે.

બાબાના નિધન પર શોકસભા પણ નહીં: પ્રણવ મુખર્જીની પુત્રી નારાજ
મનમોહનનું સ્મારક બનાવવાના કોંગ્રેસના પ્રસ્તાવની ટીકા કરતા શર્મિષ્ઠા

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવાના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠા મુખર્જીએ એક નિવેદનમાં દાવો કર્યો હતો તે દરમિયાન શર્મિષ્ઠાએ કોંગ્રેસ નેતૃત્વ પર આ મુદ્દે તેમને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ત્યારે તેમને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિઓના નિધન પર પાર્ટીની કાર્યકારી સમિતિ દ્વારા શોકસભા બોલાવવાની કોઈ પરંપરા નથી. કોંગ્રેસના નેતાની દલીલને સંપૂર્ણ બકવાસ ગણાવતા, શર્મિષ્ઠા મુખર્જીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને તેમના પિતાની ડાયરીઓમાંથી જાણવા મળ્યું હતું કે સીડબલ્યુસીની બેઠક બોલાવવામાં આવી હતી અને અન્ય ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રપતિ કેઆર નારાયણનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અન્ય કોઈ નહીં પરંતુ તેમના પિતા પ્રણવ મુખર્જી પોતે. શર્મિષ્ઠા મુખર્જીએ કોંગ્રેસના પૂર્વ નેતા સી.આર. કેશવનની બીજી પોસ્ટ ટાંકવામાં આવી હતી, જે દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસે અન્ય પક્ષના રાજકારણીઓની અવગણના કરી કારણ કે તેઓ ગાંધી પરિવારના સભ્ય ન હતા. આ મુદ્દા પર, શર્મિષ્ઠાએ 2004 થી 2009 સુધી ડો. મનમોહન સિંહના મીડિયા સલાહકાર અને ફાઇનાન્સિયલ એક્સપ્રેસના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ ડો. સંજય બારુ દ્વારા લખાયેલા પુસ્તક ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરના એક પ્રકરણનો ઉલ્લેખ કર્યો. બારુએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર, ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન પી.વી. 2004 માં મૃત્યુ પામેલા નરસિમ્હા રાવ માટે દિલ્હીમાં ક્યારેય કોઈ સ્મારક બનાવવામાં આવ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *