આજે પંજાબના તરનતારન જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. તરનતારનની લૉ કોલેજમાં આજે (9 ફેબ્રુઆરી) ક્લાસરૂમમાં એક વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીને ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ આરોપીએ પોતે પણ એ જ બંદૂકથી આપઘાત કર્યો હતો. આ ઘટનાથી કોલેજ કેમ્પસમાં ભારે હોબાળો મચી ગયો હતો અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
https://x.com/ravipandey2643/status/2020761637616280053?s=20
મૃતક વિદ્યાર્થિનીની ઓળખ સંદીપ કૌર (20 વર્ષ) તરીકે થઈ છે, જે નૌશહરા પન્નુઆની રહેવાસી હતી. જ્યારે હુમલાખોર વિદ્યાર્થીની ઓળખ પ્રિન્સ રાજ તરીકે થઈ છે, જે મલિયાં ગામનો રહેવાસી છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ મુજબ, પ્રિન્સ રાજે વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને ત્યાં બેઠેલી સંદીપ કૌરના માથામાં નજીકથી ગોળી મારી દીધી. ત્યારબાદ તરત જ તેણે પોતાની પિસ્તોલ ફરીથી લોડ કરી, પોતાના માથામાં ગોળી મારી અને પડી ગયો. ફાયરિંગ એટલું સચોટ હતું કે બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું.સૌથી મોટો પ્રશ્ન એ છે કે એક વિદ્યાર્થી પિસ્તોલ લઈને કોલેજમાં કેવી રીતે પ્રવેશ્યો? શું ગેટ પર કોઈ ચેકિંગ નહોતું?
ડીએસપી જગબીર સિંહે જણાવ્યું કે વર્ગો શરૂ થતાં જ આ ઘટના બની હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને કેસની તપાસ શરૂ કરી છે.
પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે પ્રિન્સ રાજે આવું પગલું કેમ ભર્યું. પોલીસ પરિવારના સભ્યો અને અન્ય સહાધ્યાયીઓ સાથે પૂછપરછ કરી રહી છે.
