અમેરિકા સાથેના ટેરિફ યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહાયક અને વેપાર સલાહકાર પીટર નાવારો તેમના ભારત વિરોધી નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. આ વખતે નાવારોએ વધુ એક નવો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ”ભારત ટેબલ પર આવી રહ્યું છે.’ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓ આજે રાત્રે નવી દિલ્હી આવી રહ્યા છે. તેઓ આવતીકાલે ભારત સાથે વેપાર કરાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠક યોજશે.
ભારત અને અમેરિકા વચ્ચે આ વાતચીત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા વધારાનો ટેરિફ લાદવાના થોડા અઠવાડિયા પછી થઈ રહી છે, જેના કારણે દેશની નિકાસ ઓગસ્ટમાં નવ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. બંને દેશો વચ્ચે છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો, જે ઓગસ્ટમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે મુલતવી રાખવામાં આવી હતી, તે મંગળવારે યોજાશે. આ માટે, યુએસ વાટાઘાટકારો આજે નવી દિલ્હી પહોંચવાના છે.
ભારતના મુખ્ય વાટાઘાટકાર અને વાણિજ્ય મંત્રાલયમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે આ વિકાસની પુષ્ટિ કરી છે. તેમણે વેપાર આંકડા જાહેર કરવાના કાર્યક્રમમાં કહ્યું, ‘ભારત અને અમેરિકા વેપાર વાટાઘાટોને ઝડપી બનાવશે. પરંતુ તેમણે વધુ માહિતી આપવાનો ઇનકાર કર્યો. રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયા માટેના યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડન લિંચ મંગળવારે ચર્ચા માટે નવી દિલ્હીની એક દિવસની મુલાકાતે આવશે.
એક અઠવાડિયા પહેલા, વ્હાઇટ હાઉસના ટ્રેડ સલાહકાર પીટર નાવારોએ કહ્યું હતું કે ભારતને અમેરિકા સાથે વેપાર વાટાઘાટોમાં કોઈક સમયે આવવું પડશે, નહીં તો તે દિલ્હી માટે ‘સારું’ નહીં હોય. ‘રીઅલ અમેરિકાઝ વોઇસ’ શોને આપેલા ઇન્ટરવ્યુમાં, નાવારોએ કહ્યું હતું કે ભારત સરકાર તેમનાથી ગુસ્સે છે અને તેમણે ભારતને ટેરિફનો ‘મહારાજા’ ગણાવ્યો હતો.
