21 જૂને ફેર પરીક્ષા પૂર્વે સોશિયલ મીડિયા પર તવાઈ
રિ-નેટ (NEET Re-Examination) પરીક્ષાને લઈને ટેલિગ્રામ પ્લેટફોર્મ પર વ્યાપક પેપર લીક અને અફવાઓ ફેલાતી હોવાના આરોપો વચ્ચે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે ટેલિગ્રામ એપ પર અસ્થાયી પ્રતિબંધ લાગુ કર્યો છે. આ પ્રતિબંધ 22 જૂન સુધી અમલમાં રહેશે, જે રિ-નેટ પરીક્ષાના એક દિવસ પછી સુધીનો સમયગાળો છે.
શિક્ષણ મંત્રાલય અને આઈટી મંત્રાલયના સંયુક્ત નિર્ણય અનુસાર, ટેલિગ્રામ પર નેટ પરીક્ષા સંબંધિત પેપર લીક, છેતરપિંડી અને અફવાઓ ફેલાવતા અનેક ચેનલ્સ સક્રિય હોવાના પુરાવા મળ્યા છે. આને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષાની અખંડિતતા જાળવવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે. આ દરમિયાન ટેલિગ્રામની સેવાઓ ભારતમાં અસ્થાયી રીતે બંધ રહેશે.
રિ-નેટ પરીક્ષા 21 જૂને યોજાવાની છે. તેના પહેલા જ ટેલિગ્રામ પર નકલી પેપર વેચવાના અને અફવાઓ ફેલાવવાના અનેક કિસ્સા સામે આવ્યા હતા. સરકારે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) સાથે મળીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને પણ સતર્ક કર્યા હતા. આ છતાં પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે આખા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાકે આને જરૂૂરી પગલું ગણાવ્યું છે જ્યારે કેટલાકે તેને અસુવિધાજનક ગણાવ્યું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા પૂરી થયા પછી 22 જૂને પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.
આ નિર્ણયથી નેટ જેવી મોટી પરીક્ષાઓમાં ડિજિટલ સુરક્ષા અને મોનિટરિંગના મુદ્દા ફરી વાર ચર્ચામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે આવા પગલાં વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જરૂૂરી છે.
