ઘર ખર્ચ ન આપતો, પત્ની કામે જાય તો કામે ન જવા દેતો : પરિણીતાએ એસીડ પી લીધું
ધ્રોલનાં દેડકદળ ગામે રહેતા પરીણીતાને પતિ કામ બાબતે અને ઘર ખર્ચનાં પૈસા ન આપતા હેરાન પરેશાન કરતો હોય જેથી પરણીતાએ કંટાળી જઇ એસીડ પી આપઘાત કરી લીધો હતો. તેમનાં મૃતદેહને રાજકોટની સિવીલ હોસ્પીટલમા પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આવ્યો હતો. ધ્રોલનાં દેડકદળ ગામે રહેતા પ્રભાબેન અશોકભાઇ મકવાણા નામનાં 40 વર્ષનાં મહીલાએ ગઇકાલે સવારનાં સમયે એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટની હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેઓનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા શોક છવાઇ ગયો હતો આ ઘટના અંગે હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે બનાવની જાણ ધ્રોલ પોલીસને કરી હતી. પ્રભાબેનનાં પરીવારે આક્ષેપો કર્યા હતા કે તેમનો પતિ અશોક કામધંધો કરતો ન હતો.
અને ઘર ખર્ચ પણ આપતો ન હતો . પ્રભાબેન ઘરકામ માટે બહાર જાય તો તેને બહાર પણ કામ માટે જવા દેતો નહોતો. જેથી પ્રભાબેન કહેતા હતા કે પોતે ઘર કઇ રીતે ચલાવશે. જેની ચિંતામા અને પતિનાં ત્રાસનાં કારણે તેઓએ એસીડ પી લઇ આપઘાત કરી લીધો હતો . તેઓને સંતાનમા બે દિકરી અને એક દિકરો છે. પ્રભાબેનનાં મૃત્યુથી ત્રણેય સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.
