ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હિમંત બિસ્વા સરમાએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત એક સમારોહમાં ડો. સરમાને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. ડો. શર્માની સાથે, ચાર ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિઓગે પણ મંત્રી પદના શપથ લીધા.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સુવેન્દુ અધિકારી અને દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, સર્બાનંદ સોનોવાલ અને પવિત્રા માર્ગેરિટા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન પણ હાજર રહ્યા હતા.
આ ખાસ તકે હિમંતા બિસ્વા સરમાના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી છે. સીએમ હિમંતાની દીકરી કુસન્યા સરમાએ કહ્યું, અહીં આવીને અમે ખૂબ જ ખુશ છીએ આનંદ અનુભવી રહ્યાં છીએ. જ્યારે તેની પત્ની રિનિકી ભુઇયા સરમાએ કહ્યું, આ ખૂબ જ ખુશીની ક્ષણ છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ કહ્યું, અસમની જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું. બંગાળ ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની મોટી જીત થઈ છે. આગામી દિવસોમાં ઓડિશા, બિહાર, અસમ, ત્રિપુરા, સિક્કિમમાં પીએમ મોદીનું જે સપનું છે પૂર્વોદયનો વિકાસ તેના માટે કામ કરશે.
એનડીએ સરકારે આસામમાં સતત ત્રીજા કાર્યકાળ માટે સરકાર બનાવી છે. મુખ્યમંત્રી તરીકે હિમંતનો આ બીજો કાર્યકાળ હશે. મંત્રી તરીકે શપથ લેનારા ધારાસભ્યોમાં નિઓગ, બોરા અને બોરોનો સમાવેશ થાય છે, જેઓ સરમાના પહેલા મંત્રીમંડળના સભ્યો હતા, જ્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તેલી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા છે.
