સંસદમાં બોલવા નહીં દેતા રાહુલ ગાંધી આકરા પાણીએ, 4 માસથી અટકેલી ડીલ રાતોરાત કેવી રીતે થઇ?, અદાણીને બચાવવા શરતો સ્વીકારી લીધાનો આરોપ
અમેરિકા-યુરોપ સાથે કરેલા કરારો જાહેર કરવાની માગણી સાથે સંસદમાંથી વિપક્ષનો વોકઆઉટ
એપેસ્ટીન ફાઈલમાં પોતાના પત્તા ન ખુલે તે માટે મોદીનો આ પ્રયાસ છે: રાહુલ
અમેરિકા અને ભારત વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલ ગઇકાલે સાંજે નાટકીય ઢબે થઇ જતા આજે સંસદમાં વિપક્ષોએ અમેરિકા અને યુરોપ સાથે થયેલા બન્ને કરારોની વિગતો સંસદમાં જાહેર કરવાની ઉગ્ર માંગણી કરી વોકઆઉટ કર્યો હતો.
બીજી તરફ વિપક્ષી નેતા રાહુલ ગાંધી આજે ફરી ડોકલામ મુદ્દે જવાબ આપવા ઉભા થતા સ્પીકરે તેમને બોલવાનો સમય આપેલ નહીં અને અન્ય વિપક્ષી સભ્યને સમય ફાળવી દેતા વિપક્ષના સભ્યોએ પણ બોલવાનો બહિષ્કાર કરી દીધો હતો અને વોકઆઉટ કર્યો હતો.
જયારે સંસદમાંથી બહાર આવેલા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી ભયંકર દબાણમાં છે. હજારો કરોડ ખર્ચીને બનાવેલી ઇમેજનો ગુબારો ફુટી શકે છે. ચાર માસથી અટકેલી ટ્રેડ ડીલ અચાનક થઇ જવા સામે સવાલ ઉઠાવતા રાહુલે જણાવ્યું કે, સરકરે ખેડુતોના લોહી- પરસેવો વેંચી નાખ્યો છે. દેશ વેંચી નાખ્યો છે. તેણે આક્ષેપ કર્યો કે, અમેરીકામાં અદાણી ઉપર કેસ છે અને અદાણી ભાજપને ફંડ આપે છે તેથી તેને બચાવવા સરકારે ટ્રમ્પની શરતો સ્વીકારવી પડી છે. એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજુ એપેસ્ટીન ફાઇલના ઘણા પાના ખોલવાના બાકી છે અને તેમાં નરેન્દ્ર મોદીના પત્તા ન ખુલે તે માટે પણ વડાપ્રધાન પોતે ટ્રમ્પના શરણે ગયા છે.કોંગ્રેસે આજે લોકસભામાં મોદી સરકારે અમેરિકા સાથે કરેલા કરારનામા અંગે હોબાળો મચાવ્યો હતો જેને કારણે લોકસભાનું સવારનું સત્ર બપોરે 12 વાગ્યા સુધી અધ્યક્ષે સ્થગીત રાખવું પડયું હતું. ફરીવવાર મળેલા સત્રમાં પણ કોંગ્રેસના નેતાઓએ અધ્યક્ષ સામે રજુઆત કરવા આગળના ભાગમાં (વેલ ઓફ ધ હાઉસ) ધસી ગયા હતા અને સંસદને વિશ્ર્વાસમાં લીધા વિના યુરોપ અને અમેરિકા સાથેના કરારો સામે બુમાબુમ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસે રજુઆત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ખેડુતોના ભોગે અમેરીકન રાષ્ટ્રપતિને રાજી રાખવા સંપુર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. ભારતમાં અમેરિકાની ડેરી પ્રોડકટ માટે દરવાજા ખુલ્લા કરવામાં આવી તેની પણ કોંગ્રેસે ટીકા કરી હતી.
નડ્ડા રાજયસભામાં જવાબ આપશે
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા મહત્વપૂર્ણ વેપાર કરાર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે આજે સંસદમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રાજ્યસભામાં સદનના નેતા જે.પી. નડ્ડાએ જાહેરાત કરી હતી કે સરકાર આજે જ આ ટ્રેડ ડીલની તમામ ઝીણવટભરી વિગતો સાથે ‘સુઓ મોટો’ (પોતાની મેળે) નિવેદન રજૂ કરશે. ધમાલને કારણે લોકસભા વારંવાર મોકુફ રાખવી પડી હતી. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર નિયમોનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાનો અવાજ દબાવી રહી છે. આ હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી.
સંસદના બન્ને ગૃહો ચાલવા દો, સ્પીકરે ભાજપ-કોંગ્રેસ સાથે બેઠક યોજી
લોકસભામાં ચાલી રહેલી ગતિરોધ દૂર કરવાના પ્રયાસોમાં સ્પીકર ઓમ બિરલા હવે સક્રિય થઈ ગયા છે. તેમણે કોંગ્રેસ અને ભાજપના ફ્લોર નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ ઉપનેતા ગૌરવ ગોગોઈએ કર્યું હતું. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ બેઠક બાદ, એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રીજું સત્ર બપોરે 2 વાગ્યે ફરી શરૂૂ થશે ત્યારે ગૃહની કાર્યવાહી સુગમ રીતે શરૂૂ થશે.
