દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા કરતી સર્વોચ્ચ સંસ્થા ’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) એ ભારતીય બજારની અગ્રણી બ્રાન્ડ ડાબર ઈન્ડિયા લિમિટેડ સામે એક મોટું અને આકરું પગલું ભર્યું છે. FSSAI એ કંપની દ્વારા પોતાના વિવિધ ઉત્પાદનો પર કરવામાં આવતા ’100% શુદ્ધતા’ અને ’100% કુદરતી’ ના દાવાઓને સંપૂર્ણપણે ભ્રામક અને કાયદાથી વિપરીત ગણાવ્યા છે.
રેગ્યુલેટરના આદેશ મુજબ, કંપની દ્વારા કરવામાં આવતા આ પ્રકારના અસ્પષ્ટ દાવાઓ ગ્રાહકોને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરે છે. આથી, FSSAI એ ડાબરને તેના મધ, દેશી ઘી અને વિવિધ ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોનું આ પ્રકારના ભ્રામક લેબલિંગ સાથેનું વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે આદેશ આપ્યો છે.
FSSAI ની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ડાબર ઈન્ડિયા દ્વારા તેની સત્તાવાર વેબસાઈટ, ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને પ્રોડક્ટ પેકિંગ પર ‘100% કુદરતી’, ‘100% શુદ્ધ’, ‘100% શુદ્ધતા ગેરંટીકૃત’, ‘100% ઓર્ગેનિક’ અને ‘100% ટેન્ડર નારિયેળ પાણી’ જેવા શબ્દોનો મુક્તપણે ઉપયોગ કરવામાં આવતો હતો.
નિયમનકારના જણાવ્યા અનુસાર, આવા શબ્દોનો ઉપયોગ કરવો એ ખાદ્ય સુરક્ષા અને ધોરણો (જાહેરાત અને દાવાઓ) નિયમો, 2018 નું સીધું અને ગંભીર ઉલ્લંઘન છે. કોઈપણ પ્રોસેસ્ડ ફૂડ આઈટમમાં ‘100 ટકા’ શુદ્ધતાનો દાવો કરવો વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાતો નથી અને તે લેબ ટેસ્ટિંગના નિયમો પર પણ ખરા ઉતરી શકતો નથી. આ પ્રકારના દાવાઓ અનિર્ણાયક હોય છે અને તે સામાન્ય ખરીદદારોમાં ખોટો વિશ્વાસ ઊભો કરે છે.
FSSAI એ ડાબર ઈન્ડિયા લિમિટેડને સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે તેઓ ભ્રામક અને ચકાસણી વગરના ‘100%’ શુદ્ધતાના દાવા કરતી તમામ ખાદ્ય પ્રોડક્ટ્સનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરે.
આ ઉપરાંત, કંપનીને આ વિષય પર લેવાયેલા પગલાં અંગેનો ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) 15 દિવસની અંદર સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કાર્યવાહીથી સમગ્ર FMCG ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતોના મતે, FSSAI નો આ નિર્ણય અન્ય મોટી બ્રાન્ડ્સ માટે પણ એક ખુલ્લી ચેતવણી છે કે જેઓ પેકિંગ પર મોટા મોટા દાવા કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ નિર્ણયથી ભારતીય બજારમાં ગ્રાહક સુરક્ષા વધુ મજબૂત થશે અને બ્રાન્ડ્સ પોતાના લેબલિંગ પ્રત્યે વધુ જવાબદાર બનશે.
કઈ પ્રોડક્ટ્સને અસર
FSSAIએ ડાબરની વિશાળ પ્રોડક્ટ રેન્જ પર લાલ આંખ કરી છે. જે ઉત્પાદનો પરથી ભ્રામક દાવા હટાવવા અથવા તેમનું વેચાણ અટકાવવા આદેશ અપાયો છે તેમાં ડાબર હની (મધ), ગાયનું દેશી ઘી, વર્જિન નારિયેળ તેલ, તલનું તેલ, સફરજનનો સિરકો (એપલ સાઇડર વિનેગર), નારિયેળનું દૂધ અને પેક્ડ નારિયેળ પાણી જેવી અનેક રોજીંદા વપરાશની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક મોટો ખુલાસો એ પણ થયો છે કે ‘ડાબર હિમાલયન ઓર્ગેનિક એપલ સાઇડર વિનેગર’ અને ‘ડાબર ઓર્ગેનિક હની’ પર માન્ય FSSAIઓર્ગેનિક સર્ટિફિકેશન મંજૂરી વિના જ ‘ઓર્ગેનિક ઇન્ડિયા’ નો લોગો છાપવામાં આવ્યો હતો. કાયદા મુજબ યોગ્ય માન્યતા વગર કોઈપણ ઉત્પાદન પર ઓર્ગેનિકનો લોગો લગાવવો એ ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન ગણાય છે.
