ઇથેનોલ-મિશ્રિત E20 પેટ્રોલ અંગે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, છત્તીસગઢની રાજધાની રાયપુરના જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ગ્રાહકની ફરિયાદ બાદ કમિશને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને 45 દિવસની અંદર ફરિયાદીને એ જ મોડલની નવી E20 ફ્યૂઅલ પાવર્ડ કાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેણે વાહનની કુલ કિંમત 20.50 લાખ પરત કરવી પડશે. આ ઉપરાંત, કમિશને માનસિક ત્રાસ માટે 1 લાખ રૂૂપિયા અને કેસ લડવાના ખર્ચ તરીકે 10 હજાર રૂૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. જ્યાંથી કાર ખરીદવામાં આવી હતી એ મારુતિ સુઝુકી ડીલરશિપે દલીલ કરી છે કે ફરિયાદીના વાહનમાં ખામી બાહ્ય પરિબળોને કારણે હતી, જે કોઈપણ સંજોગોમાં વોરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
આ મામલો રાયપુરના રહેવાસી ડો. પ્રેમરાજ દેબ્તાનો છે. તેમણે જૂન 2024માં મારુતિની ગ્રાન્ડ વિટારા આઈઈ સ્ટ્રોંગ હાઇબ્રિડ ઝેટા પ્લસ એસયુવી ખરીદી હતી. જોકે, આ વાહનનું ઉત્પાદન જાન્યુઆરી 2023માં થયું હતું. વાહનમાં વારંવાર ટેક્નિકલ સમસ્યાઓ થતી હતી. આથી, તેમણે રાયપુરમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.
ડો. પ્રેમરાજ દેબ્તાએ જણાવ્યું હતું કે, “એક વાર સાંજે હું મારા ક્લિનિકમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારી કાર અચાનક બંધ પડી ગઈ. હું તેને કંપનીના સર્વિસ સેન્ટર પર લઈ ગયો. ત્યાં મને કહેવામાં આવ્યું કે પેટ્રોલમાં ભેળસેળ છે. આવું ઘણી વખત બન્યું.” “ત્યારપછી અમે તેનું સરકારી લેબોરેટરીમાં જ પરીક્ષણ કરાવ્યું અને જાણવા મળ્યું કે સફેદ દહીં જેવો જમા થયેલો પદાર્થ ખરેખર ઇથેનોલ હતો.”
ડોક્ટરનો દાવો છે કે જ્યારે પરીક્ષણ રિપોર્ટના આધારે ડીલરને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ડીલરે જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ખામી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે થઈ છે.
