વિશ્ર્વભરમાં પ્રખ્યાત શિંગણાપુર મંદિરના કૌભાંડની તપાસ કરવા FIRનો CMનો આદેશ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અહિલ્યાનગર જિલ્લાના પ્રખ્યાત શનિ શિંગણાપુર મંદિર ટ્રસ્ટને બરતરફ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ધર્મદય કમિશનરે તેમના તપાસ અહેવાલમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો છે. મુખ્યમંત્રીએ ગૃહમાં સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવામાં આવશે અને તપાસ કરવામાં આવશે.
શુક્રવારે, ધારાસભ્ય વિઠ્ઠલ લાંઘેએ વિધાનસભામાં સરકારનું ધ્યાન દોર્યું.સુરેશ ધાસ સહિત ઘણા ધારાસભ્યોએ ચર્ચામાં ભાગ લીધો. તેમના પ્રશ્નોના જવાબ આપતા, મુખ્યમંત્રી ફડણવીસે ગૃહમાં જણાવ્યું હતું કે દેવસ્થાનમાં નકલી મોબાઇલ એપ્સ અને નકલી રસીદો દ્વારા દાન એકત્રિત કરવામાં આવ્યું હતું અને હજારો નકલી કર્મચારીઓની નિમણૂકના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
એ જ રીતે, દાન અને તેલ વેચાણ કાઉન્ટર, પાર્કિંગ, ગૌશાળા, ખેતી, વૃક્ષ સંરક્ષણ, સ્વચ્છતા, પાણી પુરવઠા, વીજળી અને સુરક્ષા વિભાગોમાં પણ નકલી કર્મચારીઓ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું કે નકલી એપ્સ દ્વારા લાખો રૂૂપિયાનું કૌભાંડ થયું છે, જેની સાયબર પોલીસ સ્વતંત્ર રીતે તપાસ કરી રહી છે.
બગીચો જ નથી પણ જાળવણી માટે 80નો સ્ટાફ, કુલ 2447 બોગસ કર્મચારી
તપાસ અહેવાલ મુજબ, સંસ્થાના વિવિધ વિભાગોમાં 2447 નકલી કર્મચારીઓ દર્શાવવામાં આવ્યા છે. આ કર્મચારીઓના નામે પગારની રકમ કેટલાક અન્ય વ્યક્તિઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. હોસ્પિટલ વિભાગમાં 327 કર્મચારીઓની માહિતી આપવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં ફક્ત 13 કર્મચારીઓ મળી આવ્યા હતા. અસ્તિત્વમાં ન હોય તેવા બગીચાના જાળવણી માટે 80 કર્મચારીઓ, 109 રૂૂમવાળા ભક્ત નિવાસ માટે 200 કર્મચારીઓ, 13 વાહનો માટે 176 કર્મચારીઓ અને પ્રસાદાલયમાં 97 કર્મચારીઓ દર્શાવવામા આવ્યા હતા.
