વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા દસેક દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તુટી જતાં પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇન માંથી વહેતું પાણી ગટરના પાણી સાથે ભળી જતાં અનેક વિસ્તારો ચોમાસા વિના જ ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
આ પરિસ્થિતિ વોર્ડ નંબર 2 ની ગુલાબ કોલોનીમાં સર્જાઈ છે, જ્યાં 150 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે. સોસાયટીમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીને કારણે રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે, અને નાના બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે તેમને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓએ આ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે અને તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી છે.
