કોળી સમાજના નેતા પરસોત્તમ સોલંકીના પુત્રના જન્મદિવસ પૂર્વે જ જાહેરાતથી રાજકારણમાં ગરમાવો
કોળી સમાજના કદાવર નેતા અને રાજ્ય સરકારમાં વર્ષોથી મંત્રી પદે રહેલા પરસોત્તમભાઇ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીના આજે જન્મદિવસ પૂર્વે તેની રાજકારણમાં એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી દિવ્યેશ સોલંકીને લડાવવાનું અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણભાઇ કોળીએ જાહેર કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળીએ એક નિવેદન આપીને રાજકીય ચર્ચાઓ તેજ કરી દીધી છે. પ્રવીણભાઈએ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોળી સમાજે મન બનાવી લીધું છે કે આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ચોક્કસપણે ચૂંટણી લડશે.
પ્રવીણભાઈ કોળીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકીય પક્ષો જે પણ નિર્ણય લે તે તેમની બાબત છે, પરંતુ કોળી સમાજની ઈચ્છા મુજબ દિવ્યેશ સોલંકી જ ચૂંટણી લડશે. તેમણે ઉમેર્યું હતું કે, દિવ્યેશ સોલંકી એક સક્રિય યુવા નેતા છે અને જ્યારે પણ સમાજને તેમની જરૂૂર પડે છે, ત્યારે તેઓ ત્વરિત હાજર થઈ જાય છે. પ્રવીણભાઈએ એવો પણ કટાક્ષ કર્યો હતો કે દિવ્યેશ સોલંકીને પોતાની ઓળખ બનાવવા માટે દિલ્હી જઈને બે-બે અધિવેશન કરવાની જરૂૂર નથી, તેમનું કામ જ તેમની ઓળખ છે.
પ્રવીણભાઈએ સ્પષ્ટતા કરી હતી કે મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળી સમાજમાં મોટી જાગૃતિ લાવી છે અને તેઓ સમાજના સર્વસ્વીકૃત નેતા છે. જોકે, હાલ તેમની તબિયત નાદુરસ્ત હોવાથી દિવ્યેશ સોલંકી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રવીણભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2027 પછી કોળી અને ઠાકોર સમાજના સુદ્રઢ દિવસો આવશે. ઉલ્લેખનીય છે કે, દિવ્યેશ સોલંકીના આજના જન્મદિવસ નિમિત્તે, આજે હોસ્ટેલમાં રહેતી કોળી સમાજની વિદ્યાર્થીનીઓને જરૂૂરી વસ્તુઓનું વિતરણ કરીને સેવાકીય રીતે ઉજવણી કરવામાં આવશે.
