છૂટાછેડા અને ભરણપોષણની લડાઈમાં DNA ટેસ્ટ નવું હથિયાર, વારસાગત બીમારી પણ કારણભૂત
જેને પોતાનું બાળક સમજી ઉછેર્યું, વર્ષો પછી ખબર પડે કે તે તો બીજા કોઈનું બાળક હતું! અગાઉ ફક્ત ટીવી સિરિયલમાં જોવા મળતા આવા કિસ્સા હવે આપણી આસપાસ પણ બનવા માંડ્યા છે. બાળક ખરેખર કોનું છે? તેવી શંકા ઉદભવતા અમદાવાદમાં દર વર્ષે 550 જેટલા બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે. આજકાલ લોકો વચ્ચે અવિશ્વાસ વધતા પહેલાં એકબીજાના સમ ખવડાવીને લેવાતી સંબંધોની પરીક્ષા હવે વૈજ્ઞાનિક પુરાવા માંગી રહી છે.
અત્યાર સુધી મોટા ભાગે ડીએનએ(ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ) ટેસ્ટ માત્ર તબીબી દ્રષ્ટિકોણથી કરાવાતા હતા. પરંતુ આજકાલ દંપતીઓ વચ્ચે ’પીસ ઓફ માઈન્ડ’ ડીએનએ ટેસ્ટનો નવો ચિલો શરૂૂ થયો છે. પત્ની પર શંકા જતા પતિ દ્વારા બાળકના અસલી પિતા કોણ છે? તે જાણવા માટે ડીએનએ ટેસ્ટ કરાવાય છે.
ખાસ કરીને બાળકને થેલેસેમિયા, ડાઉન સિન્ડ્રોમ, વગેરે બીમારી તથા ખોડખાપણ હોય તો પણ પિતાને બાળક પોતાનું નથી તેવી શંકા જતા ડીએનએ ટેસ્ટ કરાવે છે. તેમજ છૂટાછેડા સમયે ભરણપોષણ મુદ્દે પણ આ ટેસ્ટ કરાવાય છે. આવા કિસ્સા મુખ્યત્વે 30થી 40 વર્ષના દંપતીઓમાં જોવા મળે છે. તેમના બાળક 4થી 10 વર્ષ સુધીના હોય છે. પિતૃત્વની તપાસ માટે અમદાવાદની ખાનગી જિનેટિક્સ લેબોરેટરીમાં દર વર્ષે આવા 350 બાળકોના ડીએનએ ટેસ્ટ કરાય છે. લેબ નિષ્ણાંતો મુજબ, 60થી 70 ટકા કેસમાં શંકા કરનાર જ બાળકના અસલી પિતા હોય છે. જ્યારે 30થી 40 ટકા કેસમાં પિતા બીજા કોઈ હોવાનું સામે આવે છે.
ખાનગી લેબમાં એક વ્યક્તિના ડીએનએ ટેસ્ટનો ખર્ચ ₹12થી 15 હજાર છે. એટલે પિતા અને બાળક બંનેના ટેસ્ટનો ખર્ચ ₹25થી 30 હજારે પહોંચી જાય છે. સરોગસી તથા આઈવીએફ જેવા કિસ્સામાં માતા-પિતા બંનેના ડીએનએ બાળક સાથે મેચ કરાવવા હિતાવહ હોય ત્યારે ત્રણેયના ટેસ્ટ માટે ₹45થી 50 હજાર ખર્ચ કરવા પડે છે. જેથી મોટાભાગના લોકો ડીએનએ ટેસ્ટ કરાવી શકતા નથી. નહિતર આવા ટેસ્ટ કરાવનારાની સંખ્યા અનેકગણી વધારે થાય તેમ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારી લેબમાં પણ વર્ષે 200 જેટલા આવા વિવાદસ્પદ કેસ નોંધાય છે. માત્ર શહેરી અને શિક્ષિત લોકો જ નહીં, ગામડા તથા શ્રમિક વર્ગના લોકો તેમજ અન્ય રાજ્યમાંથી પણ દંપતીઓ આ ટેસ્ટ માટે અમદાવાદ આવે છે. દંપતીઓના ઝઘડા વચ્ચે ક્યારેક બાળક પીસાતો રહે છે.
IVF, સરોગસીમાં દવાખાના પર શંકાના આધારે DNA ટેસ્ટ
આઈવીએફ(ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયાથી બાળકનો જન્મ થયો હોય તેવા કિસ્સામાં કેટલીક વખત દંપતીને હોસ્પિટલ પર શંકા જાય છે. અમુક દવાખાના દ્વારા આઈવીએફની સફળતા બતાવવા જે-તે દંપતીના બદલે કોઈ ત્રીજી વ્યક્તિના ઈંડા કે શુક્રાણુ લઈને ગર્ભ વિકસિત કરાતો હોવાની શંકાના આધારે પણ બાળકના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે. સરોગસીમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન ઉભો થાય છે. જોકે 90 ટકા કિસ્સામાં દંપતી જ બાળકના માતા-પિતા હોવાનું સામે આવે છે.
