પાવન પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વિશેષ પ્રસંગે મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે હાજરી આપીને પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીનો સરળ અને જનપ્રિય સ્વભાવ ફરી એકવાર ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી ગયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અરવલ્લી જિલ્લાના લૂસડિયા ખાતે આવેલા પવિત્ર સ્થળ પર પહોંચી સંત સુરમલદાસજીની સમાધિના પૂર્ણ શ્રદ્ધાભાવ સાથે દર્શન કર્યા હતા. આ ઉપરાંત તેમણે શામળાજી મંદિરના પૂજનીય સંતોનું સાદર સન્માન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિથી સ્થાનિક લોકો અને માઇભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શામળાજી ખાતે દર્શને જતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો લોકપ્રિય અને સૌમ્ય અભિગમ ફરી એકવાર જોવા મળ્યો હતો. તેમણે પોતાના વાહનોનો કાફલો વચ્ચે રસ્તે રોકાવ્યો હતો અને સામાન્ય નાગરિકની જેમ જ એક ગામમાં રોકાઈને સ્થાનિકોને મળ્યા હતા. ઈખ એ વીઆઈપી પ્રોટોકોલ બાજુ પર મૂકીને રસ્તા પર ઉભેલા શાળાના બાળકો સાથે ખૂબ જ નિકટતાથી વાર્તાલાપ કર્યો હતો. ગૌરીવ્રત કરતી નાની દીકરીઓએ માથે સુશોભિત કળશ ધારણ કરી હર્ષોલ્લાસ સાથે મુખ્યમંત્રીનું પરંપરાગત સ્વાગત કર્યું હતું.
