નવી મુંબઈના બેલાપુર મેટ્રો સ્ટેશનની બહાર એક વ્યક્તિએ એક વૃદ્ધ મહિલાને ભીખ માંગતી જોઈ. તેના હાવભાવ અને દેખાવને જોઈને તે વ્યક્તિએ તેની સાથે વાત કરી ત્યારે તેને પારાવાર આશ્ચર્ય થયું હતું. તે મહિલા કડકડાટ અંગ્રેજી બોલતી હતી. તે પછી તે વ્યક્તિએ પોલીસ અને એક ચેરિટી સંસ્થાનો સંપર્ક કર્યો. વૃદ્ધ મહિલાએ પોતાના વિશે ખુલાસો કર્યો ત્યારે બધા દંગ રહી ગયા હતા. વૃદ્ધ મહિલાએ દાવો કર્યો હતો કે તે રેખા શ્રીવાસ્તવ છે અને તે ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ દુર્રાનીની પત્ની છે.
મહિલાએ કહ્યું કે તેણે પોતાનું મોટાભાગનું જીવન મુંબઈમાં વિતાવ્યું છે, થોડો સમય દુબઈમાં પણ રહી છે અને પોતાની એરલાઇન કંપની ચલાવતી હતી. તેને એક આશ્રયગૃહમાં લઈ જવામાં આવી, જ્યાં તેણે ફરીથી ખુલાસો કરતા કહ્યું કે તેના લગ્ન સલીમ દુર્રાની સાથે થયા હતા. મહિલાએ દાવો કર્યો કે તેનો પતિ દેશભરમાં ક્રિકેટ રમવા જતા ત્યારે તેના વગર ક્યારેય મુસાફરી કરતા નહોતા. તેણે વધુમાં કહ્યું, હું ઘણા વગદાર લોકોને મળી છું, જેમાં મહારાજાઓ અને પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા મહારાજાઓને મળ્યા હતા, ત્યારે તેમણે ગુજરાતના એક મહારાજાનો ઉલ્લેખ કર્યો.મહિલાએ પોતાની જીવનકથા સંભળાવતા કહ્યું કે તે એક સમયે વિદેશમાં વૈભવી જીવન જીવતી હતી, પરંતુ સંજોગોએ તેને બેઘર કરી દીધી.
વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે પહેલા દુબઈમાં રહેતી હતી અને એક એરલાઇન કંપની ચલાવતી હતી, પરંતુ તેના જીવનમાં એક દુ:ખદ વળાંક આવ્યો, જેના કારણે તે આર્થિક રીતે બરબાદ થઈ ગઈ અને ભટકવા માટે મજબુર થઈ ગઈ. જોકે, જામનગરમાં રહેતા સલીમ દુર્રનીના પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, ન તો કોઈ વિશ્વસનીય ક્રિકેટ રેકોર્ડમાં રેખા શ્રીવાસ્તવ નામની પત્નીનો ઉલ્લેખ છે. તે જાણી શકાયું નથી કે તે એ જ રેખા છે જેને મુંબઈમાં બચાવી લેવામાં આવી છે. સલીમ દુર્રાનીનું 2 એપ્રિલ, 2023ના અવસાન થયું હતું. તે સમયે તેઓ ગુજરાતના જામનગરમાં તેમના ભાઈ સાથે રહેતા હતા
