સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રીનો સનસનીખેજ ખુલાસો, પ્રિયંકા-વેણુગોપાલ જેવા વરિષ્ઠ નેતાઓ સામે જ ખેલ પડયો
હાલમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન સંસદમાં ભારે અશાંતિ જોવા મળી રહી છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષી સાંસદોના વર્તન સામે સખત વાંધો ઉઠાવતા એક ગંભીર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના આશરે 20 થી 25 જેટલા સાંસદો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની ચેમ્બરમાં ધસી ગયા હતા અને તેમની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. તે સમયે હું ત્યાં જ હતો.
તેમણે વધુમાં કહ્યું કે સ્પીકર ખૂબ જ નરમ સ્વભાવના વ્યક્તિ છે, નહીં તો કડક કાર્યવાહી કરવામાં આવી હોત. પ્રિયંકા ગાંધી વાડ્રા અને કેસી વેણુગોપાલ સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ અંદર હાજર હતા, અને તેઓ લડાઈને ઉશ્કેરી રહ્યા હતાં.
રિજિજુએ વધુમાં કહ્યું કે સ્પીકર આ ઘટનાથી ખૂબ જ દુ:ખી છે. મેં સ્પીકર સાથે પણ વાત કરી છે. તેઓ (કોંગ્રેસના સાંસદો) સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા અને તેમને અપશબ્દો બોલ્યા. ત્યારબાદ સ્પીકરે એક ચુકાદો આપ્યો, જેનું પાલન કરવામાં આવ્યું નહીં, અને રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે તેમને બોલવા માટે કોઈની પરવાનગીની જરૂૂર નથી. તેઓ કોઈ નિયમો વિના, પોતાની મરજી મુજબ બોલશે. સભ્યો અધ્યક્ષની પરવાનગી લીધા વિના ગૃહમાં બોલી શકતા નથી. વડા પ્રધાને પણ અધ્યક્ષની પરવાનગીથી બોલવું જોઈએ. દરેક વ્યક્તિ પરવાનગી મેળવ્યા પછી જ બોલે છે.
કેન્દ્રીય મંત્રીએ વિપક્ષના નેતા પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે સંસદ એ બાળકોની રમત નથી. દેશની સુરક્ષા અને ગરિમા જેવા સંવેદનશીલ વિષયોને રાજકીય હથિયાર બનાવવા એ અયોગ્ય છે. તેમણે કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોને પણ અપીલ કરી કે તેઓ રાહુલ ગાંધીને સંસદીય પ્રણાલી સમજાવે, જેથી ગૃહની ગરિમા જળવાઈ રહે.
રાહુલ ગાંધીના કાર્યો કઇ વિચારધારાથી ચાલે છે?
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન રિજિજુએ કહ્યું, “હું રાહુલ ગાંધીને કંઈ શીખવી શકતો નથી. મને સમજાતું નથી કે તેઓ કઈ દુનિયામાં રહે છે. તેમના કાર્યો કઈ વિચારધારાથી ચાલે છે? કોંગ્રેસના વરિષ્ઠ સભ્યોએ તેમને સમજાવવું જોઈએ કે સંસદ આ રીતે કાર્ય કરી શકતુ નથી. આપણે અહીં બાળકોની જેમ વર્તન ન કરવું જોઈએ. આપણો દેશ ખૂબ મોટો છે, અને સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આપણી સુરક્ષાનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવો અને કોઈની ગરિમાને નબળી પાડવી યોગ્ય નથી .
