દેશભરમાંથી વિરોધ થતા તાત્કાલિક અસરથી પરત ખેંચાયો
ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS ) દ્વારા તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલ પત્રમાં ફિઝીયોથેરાપીસ્ટ દ્વારા ડો. પ્રિફિક્સ તથા પી.ટી. સફિક્સ ના ઉપયોગ ન કરવા અંગે ચર્ચા અને બાદ માં પરિપત્ર કાઢવામાં આવેલ. બાદમાં દેશભરમાંથી આ બાબતે સખત પ્રતિકાર પ્રાપ્ત થતા અને મુદ્દાને વધુ વ્યાપક પ્રતિસાદ મળતા, વિચારણા અને સમીક્ષા જરૂૂરી માનવામાં આવી છે. પરિણામે, ઉપરોક્ત ડી.ઓ. પત્ર હાલ તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવ્યો છે.
આ સકારાત્મક પગલું નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન (NCAHP ) દ્વારા કરાયેલા સમયસર, મજબૂત અને સતત પ્રતિનિધિત્વના કારણે શક્ય બન્યું છે. NCAHP (તે સંસ્થા ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે) ના માન્ય અભ્યાસક્રમ અનુસાર ફિઝીયોથેરાપી એક સ્વતંત્ર હેલ્થ સાયન્સ ડિગ્રી છે, જેમાં પાંચ વર્ષનો ઉચ્ચ સ્તરીય અભ્યાસ, ઇન્ટર્નશિપ તથા ક્લિનિકલ ટ્રેનિંગનો સમાવેશ થાય છે. તેથી, અભ્યાસક્રમ પૂર્ણ કરનાર ફિઝીયોથેરાપીસ્ટને આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે ડો. પ્રિફિક્સ તથા પી.ટી. સફિક્સ નો અધિકાર કેન્દ્ર સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.
આ નિર્ણય દેશભરના લાખો ફિઝીયોથેરાપીસ્ટ માટે વ્યાવસાયિક ગૌરવ, સામાજિક સન્માન અને દર્દીઓમાં વિશ્વાસ વધારવાનો માર્ગ મોકળો કર્યો છે. હેલ્થકેર ક્ષેત્રમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા વધુ મજબૂત બની છે અને સામાન્ય જનતાને વૈજ્ઞાનિક આધારિત પુનર્વસન સેવાઓ પ્રાપ્ત કરવામાં સરળતા મળશે.
