હરિધામ-સોખડાથી અલગ થઈને વચગાળાની રહેણાંક વ્યવસ્થા સમાપ્ત થઇ ગઈ હોવા છતાં કાનૂની દાવપેચ અજમાવીને આત્મીય વિદ્યાધામ, બાકરોલમાં રહેતાં પ્રબોધજીવન જુથને કાનૂની લડાઈમાં વધુ એક નિષ્ફળતા મળી છે. વડોદરાના સંયુક્ત ચેરિટી કમિશ્નર ડો. યોગીનીબેન સીમ્પીએ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ -1950ની કલમ 41-એ હેઠળ કરેલા હુકમમાં પ્રબોધજીવન જૂથના ગણાતા વહીવટકર્તાઓને આત્મીય વિદ્યાધામ, બાકરોલનો વહીવટ અને સંચાલન યોગી ડિવાઈન સોસાયટીના ટ્રસ્ટીઓને સોંપી દેવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, એપ્રિલ 2022માં પ્રબોધજીવનદાસનાં નેતૃત્વમાં 179 જેટલા સાધુઓ. સાધ્વીઓ અને સેવકોનું જૂથ ગુજરાત હાઇકોર્ટે હેબિયસ કોર્પસ પીટીશનમાં ફરમાવેલ વચગાળાના એકતરફી હુકમની આડમાં હરિધામ સોખડા છોડીને સ્વૈચ્છિક રીતે નીકળી ગયા હતા. તે પૈકીના પુરુષોને રહેવા માટે આણંદ જીલ્લાના બાકરોલ સ્થિત આત્મીય વિદ્યાધામમાં વચગાળાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અસ્થાયી રહેણાંક વ્યવસ્થા જુલાઈ 2022માં સમાપ્ત કરી દેવામાં આવી હતી. તેમ છતાં અલગઅલગ કાયદાઓ હેઠળ રહેણાંક વ્યવસ્થા કાયમી કરવા પ્રયત્નો તે જુથે ચાલુ રાખ્યા હતા. પરંતુ, ચેરિટી કમિશ્નરથી માંડીને સર્વોચ્ચ અદાલત સુધી ક્યાંય સફળતા મળી નથી. ગુજરાત હાઇકોર્ટે હેબિયસ કોર્પસ પીટીશનમાં કરેલા વચગાળાના હુકમનું ખોટું અર્થઘટન કરીને પ્રબોધજીવન જૂથના પરમ ઉર્ફે કલ્પેશ કવા, વિઠ્ઠલભાઈ પટેલ સહિતના લોકો ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને આત્મીય વિદ્યાધામ, બાકરોલના વહીવટ અને સંચાલન માટે પ્રવેશ કરવા દેતા ન્હોતા.
વિદ્યાર્થીઓ પાસેથી રોકડામાં ફી વસુલ કરીને બેફામ ખર્ચા કરતા રહેલ છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી તો વ્યક્તિગત પે વોલેટમાં ફી સ્વીકારવામાં આવેલ હતી. સાથેસાથે પોલીસમાં ખોટી અરજીઓ આપીને ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટ નિયુક્ત સમિતિના સભ્યોને પરેશાન કરવાનું વલણ રાખતા આવેલ. આથી, ટ્રસ્ટને થઇ રહેલ નાણાંકીય અને સામાજિક નુકસાનને અટકાવવા માટે થઈને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એકટ-1950ની કલમ 41-એ હેઠળ વડોદરાના સંયુક્ત ચેરીટી કમિશ્નર સમક્ષ અરજી કરવામાં આવી હતી.
