ભાઇબીજના દિવસે મંગળા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ કરવામાં આવશે
આગામી સોમવાર તા. 20 ના રોજ દિવાળીનો મંગલ તહેવાર હોય, આને અનુલક્ષીને દ્વારકામાં આવેલા વિશ્વવિખ્યાત જગત મંદિરમાં શ્રીજીને કરવામાં આવતા વિવિધ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ધનતેરસ નિમિત્તે રવિવાર તા. 19 મીના રોજ તમામ દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.
સોમવાર તા. 20 ના રોજ રૂૂપ ચતુર્દશી તથા દિવાળી નિમિત્તે સવારે 5:30 વાગ્યે મંગલા આરતી, 6:30 થી 7:30 વાગ્યા સુધી સ્નાન દર્શન બંધ રહેશે. ત્યાર બાદના દર્શન નિત્યક્રમ મુજબ અને બપોરે 1 વાગ્યે અનોસર (દર્શન બંધ) રહેશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન અને રાત્રે 8:15 વાગ્યે હાટડીના દર્શન બાદ રાત્રે 9:45 વાગ્યે ઠાકોરજીને શયન કરાવવામાં આવશે.
મંગળવાર તા. 21 મીના રોજ સવારે 6:30 વાગ્યે મંગલા આરતી, 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા બાદ બપોરે 1 વાગ્યે અનોસર (દર્શન બંધ) રહેશે. સાંજે 5 થી 7:30 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન અને રાત્રે 9:45 વાગ્યે શયન થશે. બુધવાર તા. 22 મી ના રોજ નુતન વર્ષ નિમિત્તે ઠાકોરજીના તમામ દર્શનો નિત્યક્રમ મુજબ રાખવામાં આવ્યા છે.
ભાઈબીજ પર્વે ગુરુવારે સવારે 7 વાગ્યે મંગલા આરતી બાદ અન્ય દર્શન નિત્યક્રમ મુજબ કરવામાં આવશે. આ દર્શનનો લાભ ભાવિકો ઓનલાઈનના વિવિધ માધ્યમથી પણ લઈ શકશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદારની યાદીમાં જણાવાયું છે.
દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને અત્યારથી જ જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન માટે લોકોની ભીડ ઉમટી રહી છે. મંદિર તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા યાત્રિઓની સુરક્ષા અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે તૈયારીઓ પુરી કરી દેવાઈ છે.
