સબરજિસ્ટ્રારને નોંધણી વતે 7/12ની નકલ દેખાશે, 73 AAની જમીન હોય તો લાલ રીમાકર્સ જોઇ શકાશે: જૂનાગઢથી નવી સીસ્ટમનો પ્રારંભ
જમીન લે-વેચના કિસ્સામાં સરકારી જમીન બતાવીને ઉપરથી દસ્તાવેજ કરાવીને કરાતી ઠગાઈ હવે ભૂતકાળ બનશે. સરકારે દસ્તાવેજ નોંધણી માટે સબરજીસ્ટ્રારની કચેરીમાં સબરજીસ્ટ્રારને ઓનલાઈન 7/12ની નકલ દેખાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. એટલે, દસ્તાવેજમાં જે જમીનનો ઉલ્લેખ કર્યો હશે તેની વિગત તે સમયે જ સબરજીસ્ટ્રાર ઓનલાઈન જોઈ લેશે. જો 73એએ વાળી જમીન હશે તો લાલ કલરથી રિમાર્ક્સ પણ દેખાઈ જ જશે. એટલે, આ પ્રકારની ઠગાઈ ઉપર અંકુશ આવશે. આ વ્યવસ્થાનો પહેલો પ્રયોગ જૂનાગઢથી શરૂૂ કરવામાં આવ્યો છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓની સબ રજિસ્ટ્રાર ક્ચેરીમાં જાણીબૂઝીને અથવા પૂરતા પુરાવાના અભાવે સરકારી ગૌચર, અનરજિસ્ટર્ડ ટ્રસ્ટ કે 73અઅ જેવી સત્તાપ્રકારની જમીનના બારોબાર દસ્તાવેજ નોંધાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આવી જમીનના દસ્તાવેજની નોંધણી થઈ ગયા બાદ તકરાર ઊભી થાય છે. દરમિયાન દસ્તાવેજની નોંધણી કરનારા સબ રજિસ્ટ્રારને નોંધણી પહેલાં જ ઓનલાઈન માધ્યમથી સાત બારની નક્લ જોવા મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરી કરવામાં આવી છે. સાત બારની નકલમાં સરકારી પડતર, સરકારી ગૌચર કે 73અઅ જેવા પ્રકારની મિલક્ત હશે તો સબ રજિસ્ટ્રારને લાલ કલરના રિમાર્ક સાથે કમ્પ્યુટરના સ્ક્રીન પર મેસેજ મળી જશે. અત્યાર સુધી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખેતી કે અન્ય કોઇપણ જમીનના દસ્તાવેજની નોંધણી વખતે સાત-બારની નકલ જોઈ શકાતી ન હતી. અરજદાર મિલક્તના દસ્તાવેજ સાથે સોફ્ટકોપી રજૂ કરે તેને જ ખરી માનીને દસ્તાવેજની નોંધણી કરવી પડતી હતી. હવે સબ રજિસ્ટ્રાર પોતે ઓનલાઈન માધ્યમથી સાત-બારની લેટેસ્ટ નક્લ જોઈ શકશે. તેમાં જમીનનો સત્તાપ્રકાર પણ જાણી શકાશે. દસ્તાવેજની નોંધણી પહેલા સબ રજિસ્ટ્રાર પોતે સરકારી પડતર, સરકારી ગૌચર કે 73અઅ જેવી જમીન મુદ્દે ઊલટતપાસ કરીને દસ્તાવેજની નોંધણી કરી શકશે.
હાલમાં રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે જૂનાગઢની સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ નવી સિસ્ટમથી દસ્તાવેજની નોંધણી કરવાનો આરંભ કર્યો છે. અહીંયા મિલક્તના દસ્તાવેજની નોંધણી વખતે જમીનનું લોકેશન મળે છે કે નહીં, જમીનની સાત બારની નક્લ અને સત્તાપ્રકાર જોવા મળે છે કે નહીં તેની ખરાઈ કરી દસ્તાવેજની નોંધણી કરાઈ રહી છે. કોઈ ટેક્નિકલ ખામી જોવા મળશે તો તેને દૂર કરાશે. એક વખત જૂનાગઢની સબ રજિસ્ટ્રારમાં નવી સિસ્ટમથી દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા કાર્યરત થઈ જાય ત્યારબાદ તબક્કાવાર રીતે રાજ્યની અન્ય સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાગુ કરાશે, તેવું સુરત જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીનું કહેવું હતું.
નોંધણી વખતે મિલકતનું લોકેશન પણ જોઈ શકાશે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિલક્તના દસ્તાવેજની નોંધણી વખતે મિલક્તનું લોકેશન પણ જોઈ શકાશે. હાલ આવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જોકે, હવે ટૂંક સમયમાં મિલક્તનું લોકેશન જાણીને દસ્તાવેજ નોંધણી કરવાની સિસ્ટમ સમગ્ર રાજ્યમાં અમલી બનાવી દેવાશે, તેવું પણ જિલ્લા કલેક્ટરાલયના વર્તુળોએ ઉમેર્યુ હતું.
