આ ઇવેન્ટ સાથે બીસીસીઆઇને સીધો કોઇ સંબંધ નથી: સૈકિયા
ભાગદોડ માટે ક્રિકેટ એસો. જવાબદાર, મહાકુંભમાં પણ આવી ઘટના બની હતી: સિદ્ધારમૈયા
બેંગ્લુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઇકાલે થયેલી ભાગદોડમાં 11 ક્રિકેટ રસિકોના મોત થયા બાદ બીસીસીઆઇ અને કર્ણાટકના મુખ્યમંત્રીએ જવાબદારીમાંથી હાથ ઉચા કરી દીધા છે અને ઓળીયો ઘોળીયો બેંગલોર ક્રિકેટ એસો.ઉપર ઢોળી દીધો છે.
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના ઐતિહાસિક વિજયની ઉજવણી પહેલા બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી. ભાગદોડમાં 11 લોકોનાં મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દરેક વ્યક્તિએ આવી ઘટનાઓમાંથી પાઠ શીખવો જોઈએ.
દેવજીત સૈકિયાએ કહ્યું હતું કે, મને લાગે છે કે આ ઘટનામાં કેટલીક ભૂલો થઈ છે. જોકે BCCI નો આ RCB ઇવેન્ટ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ તેમ છતાં આપણે તેમાંથી પાઠ શીખવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે BCCI હવે આવા વિજય ઉજવણી અંગે કેટલાક નવા નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
અકસ્માત પર BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે જે પણ મદદ થઇ શકશે અમે તે ચોક્કસ કરીશું. હું કર્ણાટક સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યો છું. અમે BCCI સ્તરે પણ આ મુદ્દા પર ગંભીરતાથી વાત કરી રહ્યા છીએ. આ દુ:ખદ ઘટના પર કોઈ રાજકારણ ન થવું જોઈએ. આવી ઘટનાઓ ગમે ત્યાં બની શકે છે, તેથી તેનો ઉકેલ સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે.
તેમણે કહ્યું કે હું મારી ફ્રેન્ચાઇઝી, કર્ણાટક સરકાર અને પોલીસ અધિકારીઓના સંપર્કમાં છું. દરેક વ્યક્તિ પરિસ્થિતિને સંભાળવા અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં રોકાયેલ છે. રાજીવ શુક્લાએ કહ્યું, ક્રિકેટ એક રમત છે, તેમાં રાજકારણ માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. કોઈએ કલ્પના પણ નહોતી કરી કે ઈંઙક જેવી લીગમાં આવી ઘટના બનશે. અમે બધા અસરગ્રસ્ત પરિવારો સાથે છીએ અને શક્ય તેટલી મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ માટે ક્રિકેટ એસોસિએશનને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ભાજપના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે મહાકુંભ દરમિયાન પણ ભાગદોડ થઈ હતી. આવી ઘટનાઓ પર રાજકારણ ન કરવું જોઈએ. મુખ્યમંત્રીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના આઇપીએલ ચેમ્પિયન બનવાની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડને પઅપ્રત્યાક્ષિત દુર્ઘટનાથ ગણાવી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનાની માહિતી આપતા મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
તેમણે કહ્યું, સરકાર અને ક્રિકેટ એસોસિએશન દ્વારા વિજય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈએ આવી દુર્ઘટનાની કલ્પના પણ નહોતી કરી. પરંતુ 35 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમની બહાર 3-4 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી.
આ દરમિયાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે તમામ ઘાયલોની મફત સારવાર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્ટેડિયમમાં નાના દરવાજા હતા. લોકો દરવાજામાંથી પ્રવેશ્યા અને દરવાજા તોડી નાખ્યા. પછી ભાગદોડ મચી ગઈ હતી. કોઈને પણ તેની અપેક્ષા નહોતી.
હું તૂટી પડ્યો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી: કોહલી નિરાશ
બેંગલુરુમાં બુધવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં 11 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના અંગે આરસીબીના બેટ્સમેન વિરાટ કોહલીની પ્રતિક્રિયા સામે આવી છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું છે કે આ ઘટના બાદ હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું અને મારી પાસે કહેવા માટે કોઈ શબ્દો નથી. આરસીબીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું, આજે બપોરે બેંગલુરુમાં ટીમની રાહ જોઈ રહેલા લોકોની ભીડ વિશે મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશમાં આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી અમે ખૂબ જ દુ:ખી છીએ. દરેકની સલામતી અને સુખાકારી અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આરસીબી દુ:ખદ મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે.
