સીટોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કર્યા વગર રાજે કહ્યું, મેયર મરાઠી અને અમારા હશે
બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવતા મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો આવી જાય છે. આ ચૂંટણીમાં 20 વર્ષ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે જોવા મળી રહ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ) અને રાજ ઠાકરેની (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ જાહેર કર્યું છે કે, હવે તેઓ મહારાષ્ટ્રની 29 મહા નગરપાલિકાની ચૂંટણી સાથે મળીને લડશે. આ જાહેરાત પહેલા પરિવારજનોએ બંને ભાઈની એકસાથે આરતી ઉતારીને શુભેચ્છાઓ આપી હતી. આ દરમિયાન મુંબઈમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, બંને પક્ષે બીએમસીની કુલ 227 બેઠકની વહેંચણી પર પણ આખરી મહોર મારી દીધી છે.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ મરાઠીઓના અધિકાર માટે શિવસેનાની સ્થાપના થઈ હતી. અમે દિલ્હીમાં બેઠેલા લોકોને રોકવા સાથે આવ્યા છીએ. અમારી વિચારધારા એક જ છે. અમને મરાઠીઓના બલિદાન યાદ છે. આ વખતે અમારે તૂટવાનું નથી. જો એવું થયું તો તે બલિદાનોનું અપમાન ગણાશે. આ દરમિયાન રાજ ઠાકરેએ કહ્યું કે, મુંબઈ અમારા ઝઘડાથી મોટું છે. આજે અમે બંને ભાઈ સાથે છીએ.
સીટોની વહેંચણી પણ મહત્ત્વની નથી. મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો હશે. સૂત્રોના જણાવ્યાનુસાર, બીએમસની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સંમતિ સધાઈ ગઈ છે. એવું કહેવાય છે કે, બીએમસીની કુલ 227 બેઠક છે, જે પૈકી શિવસેના (ઉદ્ધવ જૂથ) 145-150 અને રાજ ઠાકરેની મનસે 65-70 બેઠક ચૂંટણી લડી શકે છે. હાલમાં જ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીના ગઠબંધન હેઠળની મહાયુતિ સામે કારમા પરાજયનો સામનો કર્યા બાદ ઠાકરે બંધુઓએ એક થવાનો નિર્ણય કર્યો હતો.
આ ગઠબંધન પાછળ લાંબી ચર્ચાનો દોર ચાલ્યો હતો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉત રાજ ઠાકરેના નિવાસસ્થાન ’શિવતીર્થ’ જઈને મળ્યા હતા. આ બેઠક પછી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ પણ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ’માતોશ્રી’ પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક થવાના નિર્ણય પર અંતિમ મહોર મારી હતી.
