ગૃહમંત્રી અમિત શાહની હાજરી મુદ્દે વિપક્ષોએ મચાવ્યો હોબાળો
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન બાદથી ભારે હોબાળો યથાવત છે. લોકસભામાં એન્ટિ પેપર લીક બિલને મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે આજે આ બિલ રાજ્યસભામાં રજૂ થવાનું હતું અને તેના પર ચર્ચા થવાની હતી. જોકે એ પહેલા જ વિપક્ષે હોબાળો મચાવતા રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માગ સાથે વોકઆઉટ કર્યું હતું. પરંતુ અંતે બીલ રાજયસભામાં પણ પસાર થઇ ગયું હતું.
રાજ્યસભાની કુલ 245 સીટોમાંથી હાલ 3 સીટો ખાલી હોવાથી 242 સાંસદોનું સંખ્યાબળ છે, જેથી સામાન્ય બિલ પાસ કરાવવા માટે 122 સાંસદોના સમર્થનની જરૂૂર પડે છે. ભાજપની આગેવાની હેઠળના NDA પાસે હાલ 152 રાજ્યસભા સાંસદોનું મજબૂત સમર્થન છે, જે બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે હોવાથી સરકાર ‘એન્ટી પેપર લીક બિલ’ આસાનીથી પસાર થઇ ગતું હતું. બીજી તરફ, કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધન પાસે 63 અને અન્ય વિપક્ષી દળો પાસે 29 સાંસદો છે; આમ જો સમગ્ર વિપક્ષ એક થઈ જાય તો પણ તેમની પાસે માત્ર 92 સાંસદોનું જ બળ રહે છે.
દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહના જવાબની માંગ સાથે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યા બાદ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષના વોકઆઉટ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ વિપક્ષના આ વલણની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું કે વિપક્ષ દરેક ચર્ચામાં હારી રહ્યો છે તેથી માત્ર વિરોધ પૂરતો જ રસ ધરાવે છે.
