મુસાફરોની સુવિધા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા રાજકોટગાંધીનગર વચ્ચે નવી એ.સી. સીટીંગ બસ સેવાની શરૂૂઆત કરવામાં આવી છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું.
આ બસ સેવા ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કોન, નેહરુનગર અને રાણીપ માર્ગે પસાર થઈ ગાંધીનગર પહોંચશે. રાજકોટથી દરરોજ સાંજે 4:00 કલાકે પ્રસ્થાન કરી રાત્રે 9:00 કલાકે ગાંધીનગર પહોંચશે, જ્યારે ગાંધીનગરથી સવારે 7:30 કલાકે પ્રસ્થાન કરી બપોરે 12:30 કલાકે રાજકોટ પહોંચશે, જેનું એક તરફનું ભાડું રૂૂ. 452 રહેશે. સાંજના સમયે પણ ગાંધીનગર સુધી એ.સી. બસનો વિકલ્પ ઉપલબ્ધ બનતાં નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓને વિશેષ લાભ મળશે. આ તકે પ્રવાસી બંસી સવાણીએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું નિરમા યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં અભ્યાસ કરું છું, હું મોટા ભાગે એસ.ટી.ની બસ દ્વારા જ મુસાફરી કરું છું.આ બસનો સમય એકદમ યોગ્ય છે, સિટિંગ અરેંજમેન્ટ કમ્ફર્ટેબલ છે, એ.સી. પણ નોર્મલ હોય છે તેમજ કેમેરા હોવાથી વધુ સુરક્ષિતતા અનુભવાય છે અને ચાર્જિંગની સુવિધા પણ છે, સ્વચ્છતા અને મહિલાઓ માટેની સિટિંગ વ્યવસ્થા એકદમ સરસ છે.
આ અવસરે રાજકોટ વિભાગ નિયામક એચ. એસ. જોશી, રાજકોટ એસ. ટી. ડેપો મેનેજર (વોલ્વો) એન. વી. ઠુંમર, રાજકોટ એસ.ટી. ડેપો મેનેજર ઘનશ્યામ ચગ વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મુસાફરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
