આસામના લખીમપુર જિલ્લામાં પોલીસ પર હુમલો કરવાનો અને આતંકવાદ તરફી સામગ્રી પોસ્ટ કરવાના આરોપી વ્યક્તિને બળજબરીથી મુક્ત કરવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. આ કેસના સંદર્ભમાં સોમવારે બાંગ્લાદેશી મૂળના દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલો સુનિયોજિત હતો.
આ ઘટના 27 ડિસેમ્બરે લખીમપુરના બોંગલમોરા વિસ્તારમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે બહરુલ ઇસ્લામ સોનાપુર વિસ્તારમાં છુપાયેલો છે. બહરુલ ઇસ્લામ પર પહેલગામ આતંકવાદી હુમલાના સમર્થનમાં પોસ્ટ કરવાનો આરોપ છે. તેણે આતંકવાદી હુમલાના વખાણ કરતા નકલી એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી. તે લાંબા સમયથી ફરાર હતો.ગુપ્ત માહિતીના આધારે, પોલીસ ટીમે તેને સોનાપુર વિસ્તારમાં શોધી કાઢ્યો અને તેની અટકાયત કરી. જોકે, પોલીસ તેને લઈ જઈ રહી હતી ત્યારે, 10 થી વધુ લોકોના ટોળાએ ટીમ પર હુમલો કર્યો. લાકડીઓથી સજ્જ ટોળાએ પોલીસને માર માર્યો અને આરોપીને બળજબરીથી છોડી દીધો.
લખીમપુરના એસએસપી ગુનેન્દ્ર ડેકાએ જણાવ્યું હતું કે, “આતંકવાદી હુમલા પછી, ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર સમર્થન વ્યક્ત કર્યું હતું.
બહરુલ ઇસ્લામ તેમાંથી એક હતો. જ્યારે તેને પકડવામાં આવ્યો, ત્યારે અતાબુર રહેમાનના નેતૃત્વમાં એક જૂથે પોલીસ ટીમ પર હુમલો કર્યો અને તેને છોડી મૂક્યો.” આ એક પૂર્વયોજિત હુમલો હતો.
