ગુજરાતના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. મોરબી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી કાંતિલાલ અમૃતિયા અને પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજાના પરિવાર વચ્ચે જાહેરમાં થયેલી બોલાચાલીએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે, મોરબી ભાજપ દ્વારા આગામી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પૂર્વ કાઉન્સિલર અનોપસિંહ જાડેજા ની ટિકિટ કપાતા તેમનો પરિવાર રોષે ભરાયો હતો. આ રોષ ત્યારે ફાટી નીકળ્યો જ્યારે અનોપસિંહ જાડેજાનો પરિવાર અને કાર્યકરો મોટી સંખ્યામાં કચેરી ખાતે પહોંચ્યા હતા. અહીં ભાજપના સીનિયર નેતા કાંતિ અમૃતિયા સાથે કોઈ મુદ્દે વાતચીત દરમિયાન રકઝક શરૂૂ થઈ હતી.
જોતજોતામાં આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે ભરચક કચેરીમાં મંત્રી અને નેતાઓ વચ્ચે ’તું-તારી’ સુધી વાત પહોંચી ગઈ હતી. પૂર્વ કાઉન્સિલરના પરિવારે આક્ષેપ કર્યો હતો કે પક્ષમાં નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં તેમની અવગણના કરવામાં આવી છે. બીજી તરફ, કાંતિ અમૃતિયાએ પણ વળતો પ્રહાર કરતા વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. આ દ્રશ્યો જોઈને કચેરીમાં હાજર અન્ય કાર્યકરો અને સામાન્ય જનતામાં પણ આશ્ચર્ય ફેલાયું હતું.
ટિકિટ ન મળતા નારાજ થયેલા અનોપસિંહ જાડેજાએ પક્ષ સામે બગાવતનું રુંગણું ફૂંક્યું છે અને તેઓ અપક્ષ ઉમેદવારીનોંધાવવા માટે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મોરબી ભાજપમાં વર્ષોથી સક્રિય રહેલા નેતા દ્વારા આ પ્રકારે છેડો ફાડવો એ આગામી ચૂંટણીમાં પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ આંતરિક વિખવાદને કારણે સ્થાનિક રાજકારણમાં મોટા ઉલટફેર થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ તો મોરબીનું રાજકારણ આ ઉગ્ર બોલાચાલી અને આંતરિક જૂથવાદને કારણે હીલચાલ પર છે.
