ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ, સમગ્ર મધ્ય પૂર્વ યુદ્ધમાં ડૂબી ગયું છે. બંને બાજુથી ભારે બોમ્બમારો ચાલી રહ્યો છે. મંગળવારે, અમેરિકા અને ઈઝરાયલી દળોએ ઈરાનના પરમાણુ સુવિધાઓ અને રાષ્ટ્રપતિ કાર્યાલય સહિત અનેક મુખ્ય સ્થળો પર મોટા પાયે બોમ્બમારો શરૂૂ કર્યો. ઇરાને આ યુદ્ધમાં એક ડગલું આગળ વધતાં છેક તુર્કી પર મિસાઇલ ઝીંક્યુ હતુ, જેને નાટોની સુરક્ષા પ્રણાલિએ નિષ્ફળ બનાવ્યું હતું.
તેના જવાબમાં, ઈરાને સાઉદી અરેબિયા, દુબઈ અને કુવૈતમાં અમેરિકન ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનનો હુમલો કર્યો. આ યુદ્ધમાં 15 દેશો ઈરાન સામે એક થયા છે, અને તેને રોકવું અશક્ય બની રહ્યું છે. બીજી તરફ, ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને પણ તેના અડગ વલણનો સંકેત આપ્યો છે.
તુર્કીએ અહેવાલ આપ્યો હતો કે નાટો હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તુર્કીના હવાઈ ક્ષેત્ર તરફ જઈ રહેલી ઈરાની બેલિસ્ટિક મિસાઈલને તોડી પાડી હતી. આ ઘટનાએ પહેલીવાર તુર્કીને મધ્ય પૂર્વના સંઘર્ષમાં સીધી રીતે ફસાવી દીધી છે.
પરિણામે, અન્ય નાટો સાથી દેશો પણ આ સંઘર્ષમાં જોડાય તેવી શક્યતા છે. યુએસ સંરક્ષણ સચિવ હેગસેથે દાવો કર્યો હતો કે આગામી અઠવાડિયામાં, યુએસ અને ઇઝરાયલી હવાઈ દળોનો ઈરાની આકાશ પર સંપૂર્ણ નિયંત્રણ હશે. તેમણે જણાવ્યું હતું કે તેમને પડકારવા માટે કોઈ બાકી રહેશે નહીં.
તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી દિવસ-રાત ચાલુ રહેશે, જેમાં ઈરાનના મિસાઈલ બેઝ, સુરક્ષા પ્રણાલીઓ અને તેના લશ્કરી કમાન્ડરોને નિશાન બનાવવામાં આવશે. હેગસેથેના જણાવ્યા મુજબ, ઈરાની નેતાઓ તેહરાન અને અન્ય મુખ્ય વિસ્તારો પર ફક્ત યુએસ અને ઇઝરાયલી લડાકુ વિમાનો જ જોશે. તેમણે શ્રીલંકામાં ઈરાની વિમાન પર થયેલા હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. ખામેનીના મૃત્યુ પર, તેમણે કહ્યું, ‘ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડનાર નેતા માર્યો ગયો છે.’
