ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધની તંગદિલીની અસર હવે મધ્ય-પૂર્વના દેશોમાં પણ વર્તાઈ રહી છે. ખાડી દેશોમાં આવેલા અમેરિકાના મિલિટરી બેઝને કારણે ઈરાન દ્વારા દુબઈ, સાઉદી અરેબિયા અને અબુધાબી સહિતના સ્થળોએ હુમલા કરવામાં આવ્યા છે. આ વૈશ્વિક પરિસ્થિતિને પગલે હવાઈ મુસાફરી ખોરવાતા ભાવનગરના અંદાજે 1200 જેટલા લોકો દુબઈ, અબુધાબી અને બહેરીનમાં ફસાયા છે, જ્યારે પવિત્ર ઉમરાહ માટે ગયેલા 150 જેટલા યાત્રિકો મદીના શરીફમાં અટવાયા છે.
હાલમાં હવાઈ સેવાઓ ઠપ થઈ જવાથી વતન વાપસીની રાહ જોતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો છે. મદીના શરીફમાં ફસાયેલા ભાવનગરના યાત્રિક બિલાલ અજમેરીએ જણાવ્યું હતું કે, ભારત આવવા માટેની તેમની આજની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. યાત્રિકો મર્યાદિત દિવસોના આયોજન અને બજેટ સાથે આવ્યા હોવાથી હવે તેમની પાસે નાણાં અને દવાનો જથ્થો ખૂટી રહ્યો છે. જોકે, સ્થાનિક સ્તરે હોટલની સગવડતા કરી આપવામાં આવી છે. અન્ય એક યાત્રિક યાકુબ અજમેરીના જણાવ્યા અનુસાર, મદીનામાં સ્થિતિ હાલ સામાન્ય છે અને બુલેટ ટ્રેન પણ કાર્યરત છે, પરંતુ 1000 કિલોમીટર દૂર અરામકો રિફાઈનરી પર થયેલા બોમ્બમારાથી ચિંતાનો માહોલ છે.
મદીનામાં ફસાયેલા હાજીઓ માટે સ્થાનિક ખીદમતગારો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવા માટે શમિયાણા બાંધવામાં આવ્યા છે. ભાવનગરની સ્નેહમિલન સોસાયટીમાં રહેતા હસનભાઈ ડોડીયાએ વિગતો આપતા જણાવ્યું કે, હરમ શરીફમાં હાજીઓ સુરક્ષિત છે અને બજારો ખુલ્લી છે, પરંતુ ભારતથી ચિંતાતુર પરિવારજનોના સતત ફોન આવી રહ્યા છે. બીજી તરફ, દુબઈમાં કાર્યરત મુસ્તુફાભાઈ શેખે જણાવ્યું કે હુમલાઓ શહેરના બહારના વિસ્તારોમાં થયા હોવાથી સિટીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.
આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને ભાવનગરની ટ્રાવેલ એજન્સીના મેનેજર ઝહૂર જેજાએ વડાપ્રધાન કાર્યાલય (ઙખઘ) ને ઈ-મેલ દ્વારા વિનંતી કરી છે કે, ઉમરાહ કરવા ગયેલા યાત્રિકો મધ્યમ વર્ગના હોવાથી તેમની પાસે મર્યાદિત નાણાં અને દવાઓ છે. જો આ અનિશ્ચિતતા લાંબી ચાલે તો તેમને પરત લાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. જોકે, રાહતના સમાચાર એ છે કે આજથી ભારત માટેની ફ્લાઈટો આંશિક રીતે શરૂૂ થઈ રહી છે અને અબુધાબીથી સંચાલન ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે, જેનાથી ફસાયેલા લોકોમાં વતન વાપસીની આશા જાગી છે.
