જજોની ખાલી જગ્યાના કારણે પડતર કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો, હાઈકોર્ટમાં પણ 1.75 લાખ કેસોનો નિકાલ બાકી
ગુજરાતની જિલ્લા કોર્ટોમાં પડતર કેસોમાં 2.29 ટકા અને હાઈકોર્ટમાં 4.82 ટકાનો વધારો નોંધાયો છે. જજોની ખાલી જગ્યાઓને કારણે ન્યાયિક પ્રક્રિયા પર ભાર વધ્યો છે.
ગુજરાતમાં ન્યાય મેળવવાની રાહ જોતા અરજદારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2024ના તાજેતરના આંકડાઓ મુજબ, રાજ્યની જિલ્લા અદાલતો અને હાઈકોર્ટમાં પડતર કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ વધારા પાછળ મુખ્યત્વે જજોની ખાલી જગ્યાઓ અને વધતા નવા કેસો જવાબદાર હોવાનું મનાય છે.
વર્ષ 2023ની સરખામણીએ 2024માં જિલ્લા અદાલતોમાં કેસોનું ભારણ વધ્યું છે. વર્ષ 2023માં જિલ્લા અદાલતોમાં કુલ 15,45,309 કેસ પેન્ડિંગ હતા, જે વર્ષ 2024માં વધીને 15,80,564 પર પહોંચી ગયા છે. આમ, જિલ્લા સ્તરની અદાલતોમાં પડતર કેસોમાં 2.29 ટકાનો વધારો નોંધાયો છે.
માત્ર નીચલી અદાલતો જ નહીં, પરંતુ રાજ્યની સર્વોચ્ચ અદાલત એવી ગુજરાત હાઇકોર્ટમાં પણ કેસોનો ભરાવો થયો છે. હાઇકોર્ટમાં હાલમાં કુલ 1,75,665 કેસ બાકી છે. વર્ષ 2024માં હાઇકોર્ટમાં પડતર કેસોના આંકડામાં 4.82 ટકાનો મોટો વધારો જોવા મળ્યો છે.
કાયદાકીય નિષ્ણાંતોના મતે, અદાલતોમાં કેસોના નિકાલની ગતિ ધીમી પડવાનું મુખ્ય કારણ જજોની ખાલી પડેલી જગ્યાઓ છે. ન્યાયાધીશોની પૂરતી સંખ્યા ન હોવાને કારણે ન્યાયિક પ્રક્રિયા પર ભારણ વધે છે અને સામાન્ય નાગરિકોને ન્યાય મેળવવા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડે છે. જો આગામી સમયમાં જજોની નિમણૂક ઝડપી બનાવવામાં નહીં આવે, તો આ આંકડો હજુ પણ વધી શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
