અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે, કે મને સમજાતું નથી કે વડાપ્રધાન મોદી ટ્રમ્પની સામે કેમ નમતું જોખી રહ્યા છે.
ટ્રમ્પના આ નિવેદન બાદ કોંગ્રેસે 3 સવાલ પૂછ્યા છે 1. શું ભારતની વિદેશનીતિ અમેરિકા નક્કી કરશે? 2. ટ્રમ્પને ખુશ કરવા માટે ભારતે રશિયાથી ઓઈલની આયાત ઘટાડી? 3. ટ્રમ્પની ધમકીઓ પર વડાપ્રધાન મોદી મૌન કેમ છે?
દરમિયાન, કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે “વેનેઝુએલામાં જે બન્યું તે યુએન ચાર્ટરની વિરુદ્ધ હતું. એક ચૂંટાયેલા રાષ્ટ્રપતિનું અપહરણ કરવામાં આવ્યું હતું. કાલે કોઈ પણ દેશ સાથે આવું કંઈક થઈ શકે છે તે ખૂબ જ ચિંતાજનક છે. કાલે ભારત સાથે પણ આવું થઈ શકે છે… ભારતે, હંમેશની જેમ, આ બાબતે કોઈ ટિપ્પણી કરી ન હતી, વેનેઝુએલા મુદ્દા પર કોઈ વલણ અપનાવ્યું ન હતું.” કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું છે કે ભારતમાં પણ વેનેઝુએલા જેવી જ પરિસ્થિતિ બની શકે છે. તેમણે આ મામલે ભારત સરકારના પ્રતિભાવની પણ ટીકા કરી. અમેરિકાએ વેનેઝુએલામાં પ્રવેશ કર્યો અને નેતા નિકોલસ માદુરોની ધરપકડ કરી. માદુરોને ન્યૂ યોર્ક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમણે દોષિત ન હોવાની કબૂલાત કરી. ભારતે યુએસની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી હતી.
