છ વખત ચૂંટાયેલા ભાજપના રાજ્યકક્ષાના મંત્રી પરસોતમ સોલંકીનો વલોપાત
રાજ્યકક્ષા મંત્રી પરષોત્તમ સોલંકી સાંસદ નિમુબેન બાંભણીયાથી નારાજ થયા છે. તેઓ નીમુબેનને પોતાની બહેન માને છે. તેમનો દિકરો દિવ્યેશ સોલંકી પણ સાંસદ નીમુબેનને ફોઇ કહીને જ સંબોધે છે પરંતુ દિવ્યેશ સોલંકીના જન્મદિવસ પ્રસંગે આમંત્રણ આપવા છતા નીમુબેન ન આવતા પરષોતમ સોલંકી નારાજ થયા છે.
જન્મદિવસે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પરષોત્તમ સોલંકીએ નિબુબેન બાંભણીયા સામે નારાજગી દર્શાવી હતી. પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે મેં બેન માટે શું નથી કર્યું, અને મેં બેનને કયુ કામ સોંપ્યું? સાથે જ કહ્યું કે જો બેને મને કીધું હોત તો હું પ્લેનની ટિકીટ મોકલી આપતા પરંતુ બેન આવ્યા હોત તો સારુ હોત. સોલંકીની ટકોરને પગલે આ મુદ્દો ભાજપ સહિત સમગ્ર કોળી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
શક્તિ પ્રદર્શન કરતા સોલંકીએ ભાજપ શાસિત રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું કે,હું છ-છ વખત ધારાસભ્ય બનતાં મને મંત્રી બનાવવાની ફરજ પડી છે. તેમણે ઉમેર્યું કે, આ અનુભવ જોતાં મારું સ્થાન દિલ્હીમાં હોવું જોઈએ અને મને કેન્દ્રિય મંત્રી પદ મળવું જોઈએ પરંતુ, મને કોઈની આગળ પાછળ દોડધામ કરતા કે લાઈનમાં ઉભા રહેતા આવડતું નથી જેથી હું ત્યાં નથી.
ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પશુપાલન મંત્રી તથા કોળી સમાજના નેતા – પરશોત્તમ સોલંકીએ ભાજપની વરિષ્ઠ નેતાગીરી સામે ફરી નારાજગી વ્યક્ત કરતા ચર્ચા જાગી છે. સોલંકીએ પુત્ર દિવ્યેશના જન્મદિન પ્રસંગે શહેરના મેઘાણી ઓડિટોરિયમ ખાતે દિવ્ય સેતુ શિર્ષક તળે પરિસંવાદ યોજાયો હતો.
