ચોરવાડમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અરજણ સોલંકીના 11 વર્ષીય પુત્ર અરવિંદે શાળાએ જવા બાબતે માતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો છે.
પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અરવિંદને સવારે તેની માતાએ શાળાએ જવા કહ્યું હતું. પરંતુ અરવિંદે શાળાએ જવાની ના પાડતા માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ વાત અરવિંદને એટલી માઠી લાગી કે તે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરના ઉપરના માળે ગયો. ત્યાં તેણે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર વિસ્તારમાં આ બનાવની ચર્ચા છે. શહેરના રાજકીય અને સામાજિક આગેવાનો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે. ચોરવાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.
